• રાજસ્થાનનો રાજકીય ડ્રામાઃ રાજસ્થાનમાં રાજકીય ડ્રામાના ૧૯મા દિવસે સોમવારે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના ઘરે કેબિનેટ બેઠકમાં નક્કી થયું હતું કે, વિધાનસભાનું સત્ર ૩૧મી જુલાઇએ બોલાવવાની માગ ચાલુ રખાશે. અઢી કલાક ચાલેલી બેઠકમાં રાજ્યપાલ તરફથી જે વાંધા ઉઠાવાયા છે તેની ચર્ચા બેઠકમાં થઇ હતી. હવે સરકાર ફરી સત્ર બોલાવવા માટે ત્રીજી વખત રાજ્યપાલને અરજી સોંપશે.
• રિલાયન્સ વિશ્વની બીજી એનર્જી કંપનીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાઉદી અરબની અરામકો પછી વિશ્વની બીજી સૌથી મોટી એનર્જી સેક્ટરની કંપની બની છે. રિલાયન્સે ExxonMobil Corporationને પાછળ રાખીને દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ચલાવનાર રિલાયન્સના શેરમાં ૪.૩ ટકાનો વધારો થયો હતો આ રીતે ૮ બિલિયન ડોલરના વધારા સાથે તેનું માર્કેટ કેપ ૧૮૯ બિલિયન ડોલર થયું હતું જ્યારે Exxon Mobilના નેટવર્થમાં ૧ બિલિયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે Exxon Mobilના શેર્સમાં ૩૯ ટકાનો ઘટાડો તો રિલાયન્સના શેર્સમાં ૪૩ ટકાનો વધારો થયો હતો.
• સોનું ઐતિહાસિક રૂ. ૫૪૩૦૦ની ઊંચાઇએઃ ડોલર ઇન્ડેક્સ ૨૨ મહિનાની નીચી સપાટીએ ગબડતા તેની પાછળ સોના અને ચાંદીમાં આગઝરતી તેજી જોવાઈ હતી. સોનું ૨૭મી જુલાઈએ ૧૯૭૫ ડોલર અને ચાંદી ૨૪.૨૫ ડોલર જોવાઈ હતી. વૈશ્વિક મજબૂતાઈની પાછળ સ્થાનિકમાં સોનું વધુ રૂ. ૧૨૦૦ ઊંચકાઇને રૂ. ૫૪૩૦૦ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું જ્યારે ચાંદી પણ રૂ. ૩૦૦૦ વધીને રૂ. ૬૪૦૦૦ના સ્તરે રહી હતી. મે ૨૦૧૩ પછી ચાંદીના ભાવ સૌથી ઊંચા ગયાં છે.
• ‘પોતાના બાળકોની બલિ આપો’: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના લોનીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે બકરાની બલિ અંગે ૨૮મી જુલાઈએ નિવેદન આપ્યું હતું કે દેશમાં કોરોનાનો પ્રકોપ છે. બકરી ઇદ પર બકરાની બલિ ન આપો. જો તમને બલિ આપવી જ હોય તો તમારા બાળકોની આપો. જો કોઇ બલિ આપે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. નંદકિશોરના આ નિવેદન પછી વિવાદ શરૂ થયો છે.
• ૧૮ સરકારી બેન્કોને ચૂનો: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે, વર્ષ ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની ૧૮ બેન્કોની કુલ ૧.૪૮ લાખ કરોડની છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે. બેન્ક સાથે છેતરપિંડીના કુલ ૧૨,૪૬૧ કેસ બહાર આવ્યા છે. આરટીઆઈ હેઠળ મંગાયેલા જવાબમાં રિઝર્વ બેન્કે આ માહિતી આપી છે. સૌથી વધુ શિકાર જાહેર ક્ષેત્રની ટોચની બેન્ક સ્ટેટ બેન્ક બની છે.
• RBIની સ્વાયત્તા મુદ્દે ઊર્જિતે હોદ્દો છોડ્યો: RBIની સ્વાયત્તતાને ઘટાડવાના પ્રયાસોને ઊર્જિત પટેલે ગવર્નરનો કાર્યકાળ પૂરો થતાં પહેલાં જ હોદ્દો છોડી દીધો હતો એવો ઘટસ્ફોટ RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમના નવા પુસ્તકમાં કર્યો છે. ક્વેસ્ટ ફોર રિસ્ટોરિંગ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઈન ઇન્ડિયા’ પુસ્તકની પ્રસ્તાવનામાં આચાર્યએ લખ્યું છે કે, વધુ પડતા નાણાકીય અને ધિરાણ સંબંધી સ્ટિમ્યુલસને કારણે ગયા દાયકામાં ભારતના ફાઇનાન્શિયલ સેક્ટરે સ્થિરતા ગુમાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવા પરિણામને સંસ્થાકીય સ્વરૂપ આપવા માટે RBIના વહીવટી માળખાને બદલવાના પ્રયાસોને રોકવા જરૂરી હતા અને એટલે RBIએ ગવર્નર ગુમાવવો પડ્યો હતો. ઊર્જિત પટેલે પણ તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના પુસ્તકમાં લખ્યું હતું કે, ગવર્નરનો હોદ્દો છોડવાના વિવાદનું મૂળ કારણ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ કોર્પોરેટ બેડ લોન સામે RBIની કડક કાર્યવાહી હતી.
• કેરળ-કર્ણાટક ISISના ગઢઃ UN: સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ ૨૫મી જુલાઈએ જાહેર કર્યું છે કે, ભારતમાં ISISના પગપેસારા સાથે એક અંદાજ પ્રમાણે કેરળ અને કર્ણાટકમાં તેના આતંકીઓ મોટી સંખ્યામાં હોઇ શકે છે. વૈશ્વિક સંગઠને એક રિપોર્ટમાં ચેતવણી આપતાં કહ્યું કે અલ-કાયદા આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. આઇએસ, અલ-કાયદા અને તેમની સાથે જોડાયેલા આતંકીઓ કે સંગઠનો સંબંધિત એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેન્કશન્સ મોનિટરિંગ ટીમના ૨૬મા રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા (એક્યુઆઇએસ) તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુજ, હેલમંડ અને કંધાર પ્રાંતોમાંથી કામ કરે છે. સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના ૧૫૦-૨૦૦ આતંકી છે.
• અમારે મુંબઇ-નાગપુર બુલેટ ટ્રેની જરૂરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બાબતે ૨૬મી જુલાઈએ કહ્યું કે, મુંબઈ- અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેનની અત્યારે જરૂર બિલકુલ નથી. બુલેટ ટ્રેનની જરૂર હોય તો મુંબઈ-નાગપુર રૂટ પર આપો. અત્યારે આ મુદ્દે બેકસીટ પર છે. તેની કોઈ ચર્ચા પણ કરતું નથી. તેને કોઈ પૂછતું પણ નથી.
• પ્રથમ ડબલ કન્ટેનર ઈલેક્ટ્રિક ટનલઃ હરિયાણામાં રેલવે દ્વારા દુનિયાની પ્રથમ ડબલ કન્ટેનર ઈલેક્ટ્રિક ટનલ બનાવાઈ છે. અરવલ્લીની પર્વતમાળાને કોતરીને એક કિલોમીટર લાંબી દુનિયાની પ્રથમ ઈલેક્ટ્રીફાઈડ રેલવે ટનલ બની છે. આ ટનલમાંથી બે માલગાડીઓ પસાર થઈ શકશે. એ ભોંયરામાંથી ઈલેક્ટ્રિક રૂટ પર માલગાડીઓ દોડાવાશે.
• સીએએથી બચવા શરણાર્થીઓ ખ્રિસ્તીઃ નાગરિક્તા સુધારા કાયદા (સીએએ)થી બચવા અને ભારતની નાગરિક્તા મેળવવા રાજધાની દિલ્હીમાં રહેતા અફઘાની અને મ્યાંમારના રોહિગ્યા શરણાર્થીઓ હવે ખ્રિસ્તી ધર્મ અપનાવવા લાગ્યા હોવાના અહેવાલ છે. જોકે, આ અંગે અફઘાન ચર્ચના પદાધિકારીઓ જાહેરમાં કશું બોલવા તૈયાર નથી.
• સીસીડી કેસ તપાસઃ કેફે કોફી ડે જૂથ (સીસીડી)ના માલિક વી જી સિદ્ધાર્થના કથિત આત્મહત્યા કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની અંગત કંપનીઓ દ્વારા મૂળ કંપનીમાંથી ૩૫૩૫ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાઈ હતી. આ તપાસ પછી આવકવેરા વિભાગને ક્લિનચીટ મળી ગઇ છે કારણકે તેમના પર સિદ્ધાર્થને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ મૂકાયો હતો.