• લદ્દાખના દેમચોકથી ચીની સૈનિક પકડાયોઃ લદાખમાં એલએસી મામલે ભારત-ચીન સેના સામસામે છે ત્યારે લદાખના દેમચોકથી ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નાં એક સૈનિકને ભારતીય સેનાએ તાજેતરમાં પકડી લીધો હતો. કોર્પોરલ રેન્કનો આ સૈનિક શાંગઝી વિસ્તારનો રહીશ છે અને તેની પાસેથી મહત્ત્વના સિવિલ અને લશ્કરી દસ્તાવેજો મળી આવતાં તે જાસૂસી કરતો હોય તેવી શંકા સેવાઈ રહી છે. તેનું આઈ કાર્ડ અને મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કરી લેવાયા હતા. જોકે ચીનની વિનંતી અને આજીજીને પગલે તેને ચીનને પરત કરાશે તેવા અહેવાલો છે.
• ટીઆરપી વધારવાનું કૌભાંડઃ ટીઆરપી રેટિંગ વધારવાનાં કૌભાંડમાં પકડાયેલા પાંચ પૈકી ૪ લોકોએ ૧૬મી ઓક્ટોબરે મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેમને રિપબ્લિક ટીવી દ્વારા સીધેસીધા પૈસા અપાતા હતા. મુંબઈ પોલીસ આ લોકોને કેસમાં તપાસના સાક્ષી બનાવશે. ૪ પૈકી ૩ લોકોએ મેજિસ્ટ્રેટને કહ્યું કે, અમને રિપબ્લિક ટીવી દ્વારા પૈસા આપવામાં આવતા હતા જ્યારે એક સાક્ષીએ બોક્સ સિનેમાનું નામ લીધું હતું. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં ઈન્ડિયા ટુડેનું નામ પણ સંડોવાયું હતું, પણ ઈન્ડિયા ટુડે વિરુદ્ધ કોઈ પુરાવા નહીં મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
• રવિશંકર પ્રસાદના હેલિકોપ્ટરને અકસ્માતઃ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના હેલિકોપ્ટરની પાંખ એરપોર્ટના લેન્ડિંગ પોઈન્ટ પર લાગેલી બેરિકેડ ફેન્સિંગના તાર સાથે ૧૭મીએ અથડાઈ હતી. જોકે, અકસ્માત સમયે કેન્દ્રિય પ્રધાન હેલિકોપ્ટરમાં નહોતા તેઓ અકસ્માતના થોડા સમય પહેલાં જ હેલિકોપ્ટરમાંથી ઉતર્યા હતા. તેથી તેઓનો બચાવ થયો હતો.
• J&K ક્રિકેટ એસોસિએશમાં કરોડોનું કૌભાંડઃ જેએન્ડકે ક્રિકેટ એસોસિએશનને અપાયેલા ફંડમાંથી રૂ. ૪૩.૬૯ કરોડની ગેરકાયદે હેરાફેરી કૌભાંડમાં ઈડીએ જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાની કથિત સંડોવણીને ધ્યાનમાં લઈને સોમવારે તેમની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. વર્ષ ૨૦૦૨થી ૨૦૧૧ સુધી ફારુક જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. આ ગાળામાં રૂ. ૪૩.૬૯ કરોડની ગેરકાયદે હેરાફેરી કરાઈ હોવાનું જણાયું છે.
• થરુરનો બફાટ - પાકિસ્તાનનું કોરોના મેનેજમેન્ટ ભારત કરતાં સારુંઃ બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે લાહોર લિટરેચર ફેસ્ટિવલમાં ઓનલાઇન સંબોધનમાં કહ્યું કે, કોરોના મેનેજમેન્ટમાં પાકિસ્તાન ભારત કરતા સારું રહ્યું છે. થરૂરે ભારતમાં મુસલમાનોની સ્થિતિ અને પૂર્વોત્તરના લોકો સાથે થઇ રહેલા ભેદભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ભાજપે આ નિવેદનનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો.
• દશેરાએ સંઘ પથ સંચલન નહીંઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે દશેરાએ પોતાના સ્થાપના દિવસે દેશભરમાં સંઘ પથ સંચલન યોજીને ઉજવણી કરે છે, પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સંઘ આ વર્ષે ગાઈડલાઈન મુજબ ઉજવણી કરશે. દેશમાં ક્યાંય સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન નહીં કરાય. નાગપુરમાં યોજાનારો મુખ્ય કાર્યક્રમ પણ હોલમાં થશે.
• ભારત, યુએસ, જાપાનની નૌકા કવાયતમાં ઓસ્ટ્રેલિયાઃ ચીનના ભારત, તાઈવાન, જાપાન અને અમેરિકા સાથે સંબંધો વણસેલા છે ત્યારે ભારતે અમેરિકા - જાપાન સાથેની તેની ત્રિપક્ષીય મલાબાર નૌકા કવાયતમાં સામેલ થવા ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપ્યું છે. મલાબાર કવાયતમાં ઓસ્ટ્રેલિયાને સામેલ કરીને ભારતે ચીનનો મજબૂત સામનો કરવાનો મક્કમ ઈરાદો દર્શાવ્યો છે.
• દુર્ગા પૂજાના પંડાલ કન્ટેઈનમેન્ટ ઝોનઃ કોલકતા હાઇ કોર્ટે સોમવારે કહ્યું કે, દુર્ગા પૂજા પંડાલ દર્શનાર્થીઓ માટે ‘નો એન્ટ્રી ઝોન’ ગણાશે અને પંડાલને કન્ટેઈનમેન્ટ ઝોન ગણાશે અને તેમાં કોઈને પ્રવેશ નહીં અપાય. પંડાલની અંદર ફક્ત આયોજકોને જ રહેવાની મંજૂરી રહેશે. મોટા પંડાલો માટે આ સંખ્યા ૨૫ અને નાના પંડાલો માટે એ સંખ્યા ૧૫ સીમિત કરાઇ છે.
• J&Kમાં સંદેશાવ્યવહાર ખોરવવા પાકનું કાવતરુંઃ ભારતના ટોચના સુરક્ષા અધિકારીએ નવી દિલ્હીમાં ૧૯મીએ જણાવ્યું હતું કે, પાછલા એક વર્ષથી પાકિસ્તાન સરકાર હાલમાં અસ્તિત્વ ધરાવતાં ટેલિકોમ ટાવર્સની ક્ષમતામાં વધારો અને નવા ટાવરની પણ સ્થાપના પણ કરે છે. પાકિસ્તાન સરકાર જમ્મુ અને કાશ્મીરમાં મોબાઈલ કવરેજને વિસ્તારવાની યોજનાથી પાકિસ્તાનમાં તાલીમ પામેલા ત્રાસવાદીઓને ભારતમાં ઘૂસણખોરીમાં મદદ મળે તેવું આયોજન કરતું હોવાના સંકેત છે.