સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Friday 27th November 2020 07:06 EST
 

ભારતની નાની-મોટી ઘટનાઓ ઉડતી નજરે...

• વડા પ્રધાન મોદીનું જી-૨૦ દેશોને સંબોધનઃ વડા પ્રધાન મોદીએ રવિવારે દુનિયાના શક્તિશાળી દેશોના સંગઠન જી-૨૦ને ઓનલાઈન સંબોધતા કહ્યું કે બંધ રૂમમાં બેસીને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવો શક્ય નથી. તેનો સામનો કરવા એકસંપ થઈને વ્યાપક પ્રયાસો અપનાવવા પડશે. તેમણે કહ્યું કે વિકાસશીલ દેશોને ટેક્નોલોજી અને આર્થિક સમર્થન મળશે તો દુનિયા ઝડપથી પ્રગતિ કરશે. મોદીએ રવિવારે જી-૨૦ સમિટમાં ક્લાઈમેટ ચેન્જ અંગે કહ્યું છે કે વર્તમાન સમયમાં અમારું ધ્યાન કોરોનાથી લોકોનો જીવ અને અર્થતંત્રને બચાવવા પર છે. અમારી દૃષ્ટિએ ક્લાઈમેન્ટ ચેન્જ સામેની લડાઈ પણ એટલી જ મહત્વની છે. ભારત આ મુદ્દે કરવામાં આવેલી પેરિસ સમજૂતીના લક્ષ્યાંકોને પૂરા કરવા ઉપરાંત તેનાથી આગળ જઈ રહ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે અમે LED લાઈટ્સ બહોળા સમુદાય સુધી પહોંચાડી છે. તેનાથી કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પ્રત્યેક વર્ષ ૩૮૦ ટનનો ઘટાડો થઈ રહ્યો છે.
• ચૂંટણીમાં પરાજય પછી કોંગ્રેસમાં કલહઃ તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટા-ચૂંટણીમાં પક્ષના નબળા દેખાવને મુદ્દે પક્ષના જ કેટલાક વરિષ્ઠ નેતાઓ આલોચના કરી રહ્યા છે. કપિલ સિબ્બલ બાદ પી. ચિદમ્બરમે પણ તે આલોચના શરૂ કરી છે. ચિદમ્બરમે જણાવ્યું હતું કે ‘ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની પેટા-ચૂંટણીના પરિણામોથી હું ચિંતિત છું. પક્ષનું અસ્તિત્વ જ નથી કે પછી ખૂબ જ નબળું અસ્તિત્વ છે.’ આ પહેલા કપિલ સિબબ્બલે કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
• એપલે નવ એકમો ભારતમાં શિફ્ટ કર્યાઃ સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર ચીનમાંથી અનેક કંપનીઓ ઉચાળા ભરી રહી છે. આ કોરોનાકાળમાં મેન્યુફેક્ચરિંગ વિશ્વ વૈકલ્પિક સ્થળ શોધી રહ્યું છે. આ શ્રેણીમાં અમેરિકાની મહાકાય ટેક્નોલોજી કંપની એપલ મોટા પાયે ભારતમાં રોકાણ કરી રહી છે. એપલે તેના નવ ઉત્પાદન એકમો ભારતમાં ખસેડયા છે. તેમાં કોમ્પોનન્ટ બનાવતા એકમોનો પણ સમાવેશ થાય છે તેમ કેન્દ્રીય આઈટી અને કમ્યુનિકેશન્સ પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું. બેંગ્લૂરુમાં ટેક સમિટની ૨૩મી આવૃત્તિને વર્ચ્યુઅલી સંબોધન કરતાં રવિશંકર પ્રસાદે આ જાણકારી આપી હતી.
• સહારા ઇંડિયા રૂ. ૬૨ હજાર કરોડ ચૂકવતી નથીઃ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ સહારા જૂથ પાસેથી રૂ. ૬૨,૬૦૨ કરોડ વસૂલવા માટે ફરી સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે. ‘સેબી’એ આ રકમ સહારા વડા સુબ્રતો રોય અને તેમની બે કંપની પાસેથી લેવાની છે. સેબીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે જો સહારાના વડા રોકાણકારોના પૈસા જમા ના કરાવે, તો તેમની જામીન રદ કરવામાં આવે. તેમની ફરી ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવે. સુબ્રતો રોયની બે કંપની સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ અને સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટે કોર્ટના ૨૦૧૨, ૨૦૧૫ના આદેશોનું પણ પાલન નથી કર્યું. કોર્ટે સહારાને રોકાણકારો પાસેથી લીધેલી રકમ ૧૫ ટકા વ્યાજ સાથે પાછી આપવાનું કહ્યું હતું.
• IAS કપલ ટીના અને આમિરે છૂટાછેડા લેશેઃ આઈએએસ ટીના ડાબી અને તેના આઈએએસ પતિ અતહર આમિરે જયપુરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે સંયુક્ત અરજી કરી છે. તેમણે કહ્યું છે કે બંનેના વિચાર મળતા નથી અને લાંબા સમય સુધી તેઓ બંને એકબીજાથી અલગ રહે છે આથી હવે પરસ્પર સંમતિથી એકબીજાથી જુદા થવા માંગે છે. હાલ ટીના ડાબી ભીલવાડામાં એસડીએમ તરીકે તહેનાત છે. સિવિલ સેવા પરીક્ષા ૨૦૧૫ની ટોપર ટીનાએ એપ્રિલ ૨૦૧૮માં અતહર સાથે લગ્ન કર્યા હતા. કાશ્મીરના વતની અતહરે સિવિલ સેવા પરીક્ષા ૨૦૧૫માં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. ટીના અને આમિર બંને જ રાજસ્થાન કેડરના ઓફિસર છે. ટ્રેનિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા અને લગ્નબંધને બંધાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter