સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Tuesday 29th December 2020 16:01 EST
 

• ‘ભાજપ ઈચ્છે તેને મુખ્ય પ્રધાન બનાવે’: અરુણાચલમાં નીતિશકુમારના પક્ષ જદ(યુ)ના છ ધારાસભ્યોને ભાજપે પોતાની તરફ કરતાં નારાજ નીતિશે બિહારમાં જદ(યુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જદ(યુ)ના અધ્યક્ષ પદે પોતાના માનીતા રામચંદ્ર પ્રસાદસિંહની વરણી કરી અને કહ્યું કે મારે મુખ્ય પ્રધાન નથી રહેવું, ભાજપ ઇચ્છે તેને બિહારના મુખ્ય પ્રધાન બનાવી દે.
• કોંગ્રેસના સ્થાપના દિને રાહુલ ગાયબઃ કોંગ્રેસના ૧૩૬મા સ્થાપના દિન કાર્યક્રમમાં પક્ષના પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ પક્ષ વડા રાહુલ ગાંધી ગેરહાજર રહેતાં વિપક્ષોએ ટોણા માર્યાં હતાં. બીજી તરફ વરિષ્ઠ નેતા એ કે એન્ટનીએ દિલ્હીના AICC હેડક્વાર્ટર ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. AICC જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ આ કાર્યક્રમમાં હાજર હતાં.
• ટેસ્લાનું નવા વર્ષે ભારતમાં કાર વેચાણ શરૂઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અમેરિકી ક્લિન એનર્જી અને ઈલેક્ટ્રિક વ્હિકલ કંપની ટેસ્લા વર્ષ ૨૦૨૧ના આરંભમાં ભારતમાં કારનું વેચાણ શરૂ કરશે. ભારતમાં કારને મળેલા પ્રતિભાવ પછી એસેમ્બલ કે ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરશે.
• બળજબરી ધર્મપરિવર્તન માટે કેદઃ ઉત્તર પ્રદેશ પછી હવે મધ્ય પ્રદેશ કેબિનેટે પણ લવ જેહાદ સામે ધર્મ સ્વતંત્રતા વિધેયક - ૨૦૨૦ને ૨૬મી ડિસેમ્બરે મંજૂરી આપી છે. રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, બળજબરીથી ધર્મપરિવર્તન કરાવનારને ૧થી ૫ વર્ષ સુધીની કેદ તથા રૂ. ૨૫ હજાર સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. મહિલા, સગીર અને એસસી-એસટીના ધર્મ પરિવર્તનના કિસ્સામાં દોષિતને ૨થી ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે અથવા રૂ. ૫૦ હજારનો દંડ થઈ શકે છે.
• શારદા ચીટફંડ કૌભાંડઃ પશ્ચિમ બંગાળમાં શારદા ચીટફંડ કૌભાંડ મામલે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં ૨૭મી ડિસેમ્બરે અરજી દાખલ કરીને જણાવ્યું કે, મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી કૌભાંડમાં ફસાયેલા તારા ટીવીના કર્મચારીઓને સતત ૨૩ મહિના સુધી દર મહિને રૂ. ૨૭ લાખ કરોડ અને કુલ ૬.૨૧ કરોડ રૂપિયા પગાર ચૂકવાયો હતો.
• ક્રિકેટર ગાંગુલીનો ભાજપ પ્રવેશ થઈ શકેઃ બીસીસીઆઈના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પ. બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે તાજેતરમાં મુલાકાત કરી હતી. ૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે ગૃહ પ્રધાન અમિત શાહ પ. બંગાળ આવવાના છે ત્યારે ગાંગુલી સહિત અનેક ભાજપમાં સામેલ થઈ શકે છે.
• એગ્રી ગોલ્ડ પોન્ઝી કૌભાંડઃ દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં એગ્રી ગોલ્ડ પોન્ઝી કૌભાંડમાં ઈડીએ મની લોન્ડરિંગ કેસના સબંધે રૂ. ૪૧૦૯ કરોડની સંપત્તિ જપ્ત કરી હોવાના અહેવાલ ૨૪મીએ હતા.
• ચીન સામે સર્તકતા દાખવી ૨૨ ચોકીઓ બનાવીઃ ભારતે ચીન સામે સતર્કતા દાખવી પશ્ચિમમાં લદ્દાખ સરહદે જંગી લશ્કરી તૈનાત કર્યા પછી હવે ભુતાન સરહદે ૧૨ હજારથી વધુ ફીટની ઊંચાઈએ નવી ૨૨ બોર્ડર આઉટ પોસ્ટ (ચોકી) ઉભી કરી છે. ભારત-ચીન વચ્ચે ૨૦૧૭માં મોટો સંઘર્ષ ભુતાનના દોકલામ વિસ્તાર મામલે જ થયો હતો.
• કાશ્મીરમાં ભાજપને ૭૩ બેઠકઃ જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટ્યા પછી પહેલીવાર જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના ૨૨મીએ પરિણામો જાહેર કરાયા. આ ચૂંટણીમાં ભાજપે ૭૩, નેશનલ ફોન્ફરન્સે ૫૬, અપક્ષે ૪૩, પીડીપીએ ૨૬, કોંગ્રેસે ૨૧ અને અપની પાર્ટીએ ૧૦ બેઠક પર જીત હાંસલ કરી લીધી હતી. કાશ્મીરની સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પહેલાવાર ખાતું ખોલ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter