નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રસંઘના મંચ પરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર નિશાન સાધ્યું એના એક દિવસ બાદ આરએએસે કહ્યું છે કે ઇમરાન ખાને સંઘ પર નિશાન તાકીને સંઘ અને ભારતને એકબીજાનો વિકલ્પ બનાવવાનું કામ કર્યું છે કારણ કે આરએસએસ આતંકવાદના વિરોધમાં લડે છે. ઈમરાન ખાને સંઘને પ્રસિદ્ધિ અપાવવાનું કામ કર્યું છે અને હવે તેણે અટકવું જોઈએ નહીં. આરએસએસના સર સહ કાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલ શર્માએ કહ્યું કે, સંઘ માત્ર ભારતમાં છે. અમારી કોઇ શાખા દુનિયામાં ક્યાંય નથી, આવામાં પાકિસ્તાન અમારાથી કેમ નારાજ છે? જેનો મતલબ છે કે, જો સંઘથી નારાજ છે તો તેઓ ભારતથી જ નારાજ છે. તેણે વ્યંગ કરતા કહ્યું કે, કઇ પણ કર્યા વિના જ ઇમરાન ખાન સમગ્ર દુનિયામાં અમને પ્રસિદ્ધિ અપાવી રહ્યા છે આ તો ખૂબ જ સારી વાત છે.
ગોપાલ શર્માએ આગળ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારત હવે સમાનાર્થી થઇ ગયા છે. તેમણે હસતા કહ્યું કે, અમે પણ એવું વિચારતા હતા કે, દુનિયા સંઘ અને ભારતને એક જ સમજે છે. બેમાં ન સમજે અને આ કામ આપણા ઇમરાન સાહેબે ખૂબ જ સારી રીતે કર્યું છે માટે અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.