નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ત્રણ દિવસના કાર્યક્રમના અંતિમ દિવસે ૧૯મીએ લોકો સંઘના વડા મોહન ભાગવતને લોકોએ ચિઠ્ઠીઓનાં માધ્યમથી સવાલો પૂછયા હતા. ભાગવતે આ સવાલ જવાબ દરમિયાન કહ્યું હતું કે સંઘ ક્યારેય કોઈ જાતિ વિશે ટિપ્પણી કરતો નથી. ત્રણ દિવસના રામ રાગ આલાપતાં તેમણે કહ્યું હતું કે, રામમંદિર ઉપર વટહુકમ લાવવાની સત્તા સરકાર પાસે છે અને આયોજન કરવાનું કામ રામજન્મભૂમિ મુક્તિ સંઘર્ષ સમિતિ પાસે છે. એ બંનેમાં હું નથી. આંદોલનમાં શું કરવાનું છે તે ઉચ્ચ અધિકારી સમિતિ નક્કી કરે. તેઓ મારી પાસે સલાહ માગવા આવશે તો હું આપીશ. હું સંઘના નેતા તરીકે ઇચ્છું છું કે, રામજન્મભૂમિ ઉપર ભવ્ય મંદિર બને અને ઝડપથી બને. ભગવાન રામ આપણા દેશની બહુમતી ધરાવતી જનતાના ભગવાન છે. લોકો તેમને ઇમામ-એ-હિંદ માને છે. તેને કારણે રામજન્મભૂમિ છે ત્યાં તેમનું મંદિર બનવું જોઈએ અને ઝડપથી બનવું જોઈએ.
હિંદુત્વને હિંદુઇઝમ કહેવું ખોટું
ભાગવતને પુછાયેલા પહેલા જ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, હિંદુત્વને હિંદુઇઝમ કહેવું ખોટું છે. સત્યની નિરંતર શોધનું નામ હિંદુત્વ છે. સતત ચાલનારી પ્રક્રિયા છે. તેને કારણે જ આ શબ્દને હિંદુઇઝમ ન કહી શકાય. હિંદુત્વ જ છે જે સૌથી સાથે તાલમેલનો આધાર બની શકે છે. ભારતમાં રહેનારાં લોકો હિંદુ જ છે. કેટલાંક લોકો હિંદુત્વ વિશે જાણે છે પણ તેના વિશે વાત કરતાં સંકોચ અનુભવે છે. ભારતમાં ક્યાંય પારકા અને પોતાના તેવા અભિગમ રાખવામાં આવતા નથી. આવા અભિગમ અમે ક્યારેય બનાવ્યા જ નથી.