નવીદિલ્હી: સંઘ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક વાર યુ ટર્ન લીધો છે. ગયા સપ્તાહમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પોતાની સામેનો માનહાનિનો કેસ રદ કરવા અરજી દાખલ કરી હતી. ૨૯મી ઓગસ્ટે રાહુલ ગાંધીએ પોતાની અરજી પાછી ખેંચી લેતાં જણાવ્યું હતું કે હા, મેં કહ્યું હતું કે સંઘના લોકોએ મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી હતી અને હું મારા દરેક શબ્દ પર અટલ છું. હવે રાહુલ ગાંધીના કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કેસની સુનાવણી દરમિયાન વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવાનો ઈનકાર કરી દીધો હતો.
આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં કરેલી સ્પષ્ટતાથી રાહુલ ગાંધીએ યુ ટર્ન લેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની અરજી રદ થઈ જાય છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાહુલ ગાંધીને સંકેત મળી ગયા હતા કે સુપ્રીમ કોર્ટ તેમની સામેના માનહાનિના કેસને રદ કરવાની અરજી રદ કરવાની છે. તેથી રાહુલ ગાંધીએ અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.