ચંદ્રપુરઃ દંતકથારૂપ બની રહેલા સામાજિક કાર્યકર બાબા આમ્ટેના પૌત્રી અને જાણીતા સમાજ સેવિકા ડો. શીતલ આમ્ટે-કરાજકીએ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા આનંદવન આશ્રમ ખાતે સોમવારે સવારે આત્મહત્યા કરી લીધી હતી. મહારોગી સેવા સમિતિના સીઇઓ ડો. શીતલ આમ્ટેએ સોમવારે સવારે ઝેરી ઇન્જેક્શન લઇને પોતાના નિવાસસ્થાને જ જીવનનો અંત આણ્યો હતો.
જાણકારોના મતે તેમણે થોડા સમય પહેલાં જ સંસ્થામાં આર્થિક ગોટાળાની ચિંતા વ્યક્ત કરી હતી. પોલીસના મતે આત્મહત્યાનું કારણ જાણી નથી શકાયું પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે પારિવારિક કારણસર ડો. શીતલે આત્મહત્યા કરી લીધી છે. વરોરા ખાતે હોસ્પિટલે લઇ જવાતાં તબીબોએ શીતલને મૃત જાહેર કર્યા હતાં. ડો. શીતલ આમ્ટેને જાન્યુઆરી ૨૦૧૬માં વિશ્વ આર્થિક મંચ દ્વારા યંગ ગ્લોબલ લીડર ૨૦૧૬ તરીકે પસંદ કરાયા હતાં. મેગ્સેસે એવોર્ડ વિજેતા બાબા આમ્ટેની આ પૌત્રીએ રક્તપિત્ત દર્દીઓ માટે પ્રશંસનીય સેવા આપી હતી. તેમણે ગયા સપ્તાહે ફેસબૂક પર વીડિયો શેર કરીને મહારોગી સેવા સમિતિમાં ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. જોકે બે કલાકમાં આ પોસ્ટ દૂર કરી હતી.