નવી દિલ્હી: ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોના એક મામલે દોષિત કરાર પૂર્વ કોંગ્રેસી નેતા સજ્જનકુમારે સોમવારે કડકડડૂમાની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. દિલ્હીની હાઇકોર્ટે ૧૮ ડિસેમ્બરે તેમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી. સજ્જનના વકીલ અનિલ શર્માએ કહ્યું કે સજ્જન ૩૪ વર્ષમાં પહેલીવાર રમખાણો મામલે જેલમાં ગયા છે. તેમણે મંડોલી જેલની ૧૪મી બેરકમાં આખી રાત પસાર કરી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અદિતિ ગર્ગની કોર્ટમાં આત્મસમર્પણ કરી સજ્જને ખુદને તિહાર જેલમાં મોકલવાની માગણી કરી હતી.