નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના સંકટ વચ્ચે અર્થતંત્રને ધબકતું રાખવા કેન્દ્ર સરકારે અનલોક - ૫.૦માં ૧૫મી ઓક્ટોબરથી શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડયો છે. ૩૦મી સપ્ટેમ્બરે જારી કરેલી ગાઇડલાઇનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૫૦ ટકા ક્ષમતા અથવા તો મહત્તમ ૨૦૦ પ્રેક્ષક સાથે સિનેમાહોલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ ખોલી શકાશે. તે ઉપરાંત રાજ્યો હવે કન્ટેનમેન્ટ ઝોનની બહાર સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક, રાજકીય મેળાવડામાં ૧૦૦થી વધુ વ્યક્તિને પરવાનગી આપી શક્શે. અગાઉ આ પ્રકારના સમારોહમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિને પરવાનગી આપવામાં આવી હતી. બંધ જગ્યામાં ૨૦૦થી વધુ વ્યક્તિને આમંત્રણ આપી શકાશે નહીં. સ્પોર્ટ્સ પર્સન તાલીમ માટે હવે સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકશે.