નવી દિલ્હીઃ નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્ત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને નાણાં મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ જાહેર થતાં જ હવે તેમની સામેના પડકારોનું પિષ્ટપેષણ થઈ રહ્યું છે.
ગૃહ પ્રધાન અમિત શાહને ગુજરાતમાં ગૃહ મંત્રાલય સંભાળવાનો અનુભવ છે, પરંતુ રાષ્ટ્રીય સ્તર પર નવા પ્રકારનો પડકાર છે. શાહ પોતાની આક્રમક કાર્યશૈલી માટે ઓળખાય છે. આશા છે કે આગામી ૧૦૦ દિવસોમાં તેઓ કેટલાક અતિ મહત્ત્વના અને મોટા નિર્ણયો લઈ શકે છે. મોદી સરકારની પહેલી મુદતમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહને હવે સંરક્ષણ મંત્રાલય મળ્યું છે. મતલબ કે આંતરિક સલામતીની જગ્યાએ તેઓ સરહદ પર સલામતીની જવાબદારી સંભાળશે. સંરક્ષણ નિષ્ણાત સૈયદ અતા હસનૈન કહે છે કે ગૃહ પ્રધાન તરીકે રાજનાથે ઘણું સારું કામ કર્યું. ખાસ કરીને ‘આફસ્પા’ અને ઈસ્લામિક સ્ટેટને ભારતમાં વધતા રોકવાની દિશામાં. આથી સૈન્ય સાથે સંકળાયેલા લોકોને તેમની પાસેથી ઘણી આશા છે.
વિદેશ સચિવ રહી ચૂકેલા એસ. જયશંકરને વિદેશ મંત્રાલય સોંપાયું છે. તેઓ આ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ મનાઈ રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૧૨માં મોદી સાથે ચીનના પ્રવાસે ગયા હતા ત્યારથી મોદીની નજીક છે. જયશંકર માટે પોતાની નિપુણતા પુરવાર કરવાનું પડકારજનક રહેશે.
જોકે આ બધામાં સૌથી પહેલા અને સૌથી મોટા પડકારનો સામનો નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કરવાનો છે. એક મહિનાથી ઓછા સમયમાં તેમણે સામાન્ય બજેટ રજૂ કરવાનું છે. ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન બનવાનું બહુમાન ધરાવતાં નિર્મલા સીતારામન હવે દેશના પ્રથમ મહિલા નાણાંપ્રધાન બન્યાં છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
દેશમાં જ હથિયાર બનાવવાને પ્રાથમિકતા
પડકારોઃ સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળોમાં માળખાગત ફેરફાર પહેલો પડકાર હશે. સંરક્ષણ વિભાગ ખર્ચ અને નવાં સાધનોની ખરીદી સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યું છે. અનેક ખરીદી લાંબા સમયથી અટકી છે. જેમ કે વાયુદળને ઓછામાં ઓછા ૧૦૦ ફાઈટર વિમાનોની જરૂર છે. નૌકાદળને સબમરીનની જરૂર છે. બીજો પડકાર ડિફેન્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.
શું થઈ શકે?ઃ રાજનાથ સિંહ સંરક્ષણ બજેટ બે ટકા વધારવાનો પ્રયાસ કરી શકે છે. અત્યારે સરકાર તેના કુલ ખર્ચમાં ૧૬ ટકા ખર્ચ સંરક્ષણ માટે કરે છે. જ્યાં સુધી સુરક્ષા રણનીતિનો સવાલ છે, તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પહેલા જ તેના પર કામ કરી રહ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની નિમણૂક પણ સૂચિત છે. સીડીએસ સરકાર માટે સંરક્ષણ બાબતોમાં સલાહકાર તરીકે કામ કરી શકશે. તેની દરખાસ્ત લગભગ એક વર્ષ પહેલાં વડા પ્રધાન કાર્યાલયને મોકલી દેવાઈ છે. ભારત-ચીન સરહદ પર ૨૦૦૬માં ૭૩ રસ્તા બનાવવાને મંજૂરી મળી હતી. અત્યારે ૨૭ માર્ગ પૂરા થઈ ગયા છે, બાકીના ૨૦૨૨ સુધીમાં પૂરા કરવાનું લક્ષ્ય છે. આ માર્ગો સૈન્ય અને સાધનસરંજામને ઝડપથી લાવવા - લઈ જવા માટે જરૂરી છે. હથિયારોની આયાત ઘટાડવા માટે રાજનાથ સિંહે દેશમાં જ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે પગલાં ઉઠાવવા પડશે.
ગૃહ પ્રધાન અમિત શાહ
જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી મોટો પડકાર
પડકારોઃ અમિત શાહ સામે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી, નાગરિક સુધારા વિધેયક, નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી), આતંકી સંગઠન આઈએસ વગેરે જેવા પડકારો છે. આતંકગ્રસ્ત જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી ઝડપથી કરાવવી જરૂરી છે. ત્યાં કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવાના મુદ્દા પણ છે. મધ્ય ભારતમાં માઓવાદ ચિંતાનો વિષય છે.
શું થઈ શકે?ઃ શાહ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા પૂરી થતાં જ વિધાનસભા ચૂંટણી માટે પ્રયાસ કરી શકે છે. જોકે કેટલાક કાનૂનવિદો કહે છે કે કલમ ૩૭૦ અને ૩૫એ હટાવવી મુશ્કેલ લાગે છે કારણ કે, વિધાનસભામાં ભાજપને બહુમતી નહીં મળે તો તેને દૂર કરવાની કાર્યવાહી કેમ થશે? રાષ્ટ્રપતિશાસન દરમિયાન સંસદના માધ્યમથી તેને અંજામ આપી શકાય છે, પરંતુ એ માટે વિધાનસભા ચૂંટણી અગાઉ નિર્ણય લેવો પડશે. એનઆરસી મુદ્દે નિષ્ણાતો કહે છે કે સાથી પક્ષ - અસમ ગણ પરિષદની અસહમતિ પછી ભાજપે આ મુદ્દે પાછીપાની કરી છે. રોહિંગ્યા શરણાર્થી મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્ટે નથી આપ્યો. છતાં તેમને દેશ બહાર કાઢવા પગલાં લેવાયા નથી. નાગરિકતા સુધારા બિલ ભાજપ પસાર કરાવી શકે છે. શ્રીલંકામાં હુમલા પછી આઈએસ પણ ચિંતાનો વિષય છે. રામમંદિર મુદ્દે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થતાં સરકાર અધ્યાદેશ કે સંસદમાં કાયદા થકી રામમંદિર માટે જમીન ફાળવી શકે છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકર
ચીન પર લગામ, યુએસ-ઈરાન સાથે તાલમેલ
પડકારોઃ એસ. જયશંકર માટે સૌથી મોટો પડકાર ચીન બનશે. ચીન આપણા કરતાં અર્થતંત્ર, સૈન્ય-શક્તિ અને ટેક્નોલોજીમાં ઘણું આગળ વધી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો પણ મુશ્કેલી સર્જશે. મતલબ કે ચીનનો પ્રભાવ ઘટાડવો પહેલો પડકાર હશે. બીજો યુએસ-ઈરાન સાથે તાલમેલ રાખવાનો હશે. ભારત ભલે અમેરિકાની નજીક મનાય, પણ વેપાર સાથે સંબંધિત વિવાદ મુશ્કેલી બની શકે છે. ત્રીજો પડકાર, આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનાં હિતોનું રક્ષણ કરવાનો હશે.
શું થઈ શકેઃ ચીનનો સામનો કરવા માટે જરૂરી છે કે ભારત તેનાં હિતોની રક્ષા માટે લડે. સાથે સાથે જ સંયુક્ત હિતોને પ્રોત્સાહન આપવાનું પણ જરૂરી છે. ચીન સાથે મુકાબલા માટે ભારતે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો મજબૂત કરવા પડશે. બીજી બાજુ, ક્રૂડ એટલે કે ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ ખાડી દેશોની સાથે સંબંધો પર ધ્યાન આપવું પણ પ્રાથમિક્તા હશે. ભારતીય ઉપમહાદ્વીપમાં સુરક્ષાની દૃષ્ટિએ ભારત માટે પડોશી દેશ મહત્ત્વપૂર્ણ છે. જયશંકર અમેરિકામાં ભારતના એમ્બેસેડર રહી ચૂક્યા છે અને તેમણે અમેરિકા સાથે સિવિલ ન્યુક્લિયર ડીલ અને દેવયાની ખોબરાગડે જેવા જટિલ મુદ્દા ઉકેલ્યા છે. તેથી તે અમેરિકા સાથે વાટાઘાટો માટે સૌથી યોગ્ય વ્યક્તિ મનાય છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્
ઘટતો જીડીપી, રોજગાર સર્જન પડકાર
પડકારોઃ નાણાં મંત્રાલયનો કાર્યભાર નિર્મલા સીતારામને સંભાળ્યો ત્યાં જ જીડીપીના આંકડા જાહેર થયા, જે આગામી સમયનો મોટો પડકાર છે. એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ વચ્ચે ભારતનું અર્થતંત્ર ૬.૮ ટકાના દરે વધ્યું, પણ જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯નો ત્રિમાસિક વધારો ફક્ત ૫.૮ ટકા હતો. આ વધારો છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછો છે. વર્લ્ડ બેન્ક પ્રમાણે ભારતમાં દર વર્ષે લાખો નવી નોકરીની જરૂર છે. બેન્કો બેડલોનનો સામનો કરે છે. ઔદ્યોગિક ઉત્પાદન ઓછું છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક ડિસેમ્બર ૨૦૧૮ ક્વાર્ટરમાં ૩.૬૯ ટકા હતો. ખાનગી રોકાણ વધારવું જરૂરી છે. ૨૦૧૮-૧૯માં પાછલાં ૧૪ વર્ષમાં સૌથી ઓછી રોકાણ-અરજી આવી. ચાઈનીઝ માલના ડમ્પિંગથી ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે.
શું થઈ શકે?ઃ નિર્મલા સીતારામન સામે જાહેર ક્ષેત્રની બેન્કોને નવેસરથી મૂડી આપવાનો પડકાર રહેશે. ભારતીય રિઝર્વ બેન્ક વ્યાજદરો ઘટાડે, નોન-બેન્કિંગ નાણાંકીય કંપનીઓ માટે બેકઅપ ફંડ બનાવીને તેને ડૂબતી બચાવવી પડશે. રોકાણોને પ્રોત્સાહન આપવામાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાની રહેશે. બેન્કોની વિશ્વસનીયતા વધારવાની જરૂર છે. સરકારે એ માટે સમિતિ બનાવી હતી, પરંતુ તે ધીમી ગતિએ કામ કરે છે. સરકારી બેન્કોમાં સ્પર્ધા વધારવાની જરૂર છે. બેન્કોમાં નવી મૂડી નાંખવી પડશે.