નવી દિલ્હીઃ તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન હિન્દીભાષી પટ્ટાના ત્રણ રાજ્યોમાં ભાજપને મોટું નુકસાન થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચૂંટણી પરિણામોની થયેલી સમીક્ષા મુજબ ભાજપની મજબૂત પકડ ધરાવે છે તેવા આ ત્રણ રાજ્યોમાં સવર્ણ જાતિઓની નારાજગી, પક્ષની કેડરની ઉદાસીનતા અને સરકારની કેટલીક નીતિઓને કારણે ભાજપને પરાજય મળ્યો છે.
સંઘના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યા મુજબ એસસી/એસટી એક્ટમાં કડક જોગવાઈ સાથે તે કાયદો પસાર થતાં સવર્ણો નારાજ થઈ ગયા છે. તેના કારણે મધ્ય પ્રદેશમાં પક્ષની જીતની શક્યતાનું ધોવાણ થયું હતું. ખાસ તો ગ્વાલિયર, ચંબલ અને માળવા ક્ષેત્રમાં આના કારણે પક્ષને સૌથી વધુ નુકસાન થયું. ગ્વાલિયર - ચંબલ ક્ષેત્રમાં આ વર્ષે આઠ લોકોનાં મૃત્યુ થયા પછી દલિત સંગઠનો દ્વારા વિરોધ દેખાવો થતા રહ્યા.
આ વિસ્તારની ૩૪ બેઠકો પૈકી ભાજપને માત્ર સાત બેઠક મળી છે. ખરડો પસાર થતાં છત્તીસગઢમાં પણ ઓબીસી વર્ગ નારાજ થઈ ગયો. દિલ્હીમાં બેઠેલા અનેક નેતાઓનું એવું પણ માનવું છે કે એન્ટિ ઇન્કમ્બન્સીને કારણે પક્ષનો પરાજય થયો.