નવી દિલ્હીઃ લાખો રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરી જનારા સહારા જૂથના માલિક સુબ્રતો રોયને સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કડક શબ્દોમાં સુણાવી દીધું કે, સહારા જૂથ દ્વારા સમયાનુસાર પૈસા ચૂકવવામાં નથી આવ્યા તેથી હવે સહારાએ જેલમાં જવાની તૈયારી કરવી જોઈએ. આ ઉપરાંત સુપ્રીમે સહારાની રૂ. ૩૪,૦૦૦ કરોડના એમ્બીવેલી પ્રોજેક્ટની હરાજી કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમે સહારાને જણાવ્યું કે, તમને પૈસા જમા કરાવવા ખૂબ જ સમય અપાયો છે અને પૈસા જમા નહીં કરાવવામાં આવે તો જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈ કોર્ટના ઓફિસર લિક્વિડેટરને એમ્બીવેલી પ્રોપર્ટીની કિંમતનો અંદાજ લગાવીને હરાજીની પ્રક્રિયા શરૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે વધુ તાકીદ કરી કે માત્ર ૪૮ કલાકમાં સહારા દ્વારા પ્રોપર્ટીની તમામ વિગતો ઓફિસર લિક્વિડેટરને સોંપવામાં આવે.