અહમદનગરઃ શિરડી સાંઈબાબાનાં જન્મસ્થળને કારણે ચાલી રહેલા વિવાદનો સોમવારે આખરે અંત આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પાથરી (જિ. પરભણી)માં આવેલા સાંઇબાબાની જન્મભૂમિના વિકાસ માટે રૂ. ૧૦૦ કરોડની નિધિ આપવાની જાહેરાત કરતા સાંઇબાબાના જન્મસ્થાનને પગલે પાથરી અને શિરડીના ગ્રામજનો વચ્ચે વિખવાદ શરૂ થયો હતો. એ પછી શિરડીમાં રવિવારથી બેમુદત બંધ પાળવાનો શરૂ થયો હતો. જોકે મુખ્ય પ્રધાન સાથે વાતચીત થયા પછી આખા વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.
નવો વિવાદ નહીં જાગે
શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટનાં પ્રતિનિધિમંડળનાં સભ્ય અને શિવસેનાનાં નેતા કમલાકર કોઠેએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાને ઉદ્ધવ ઠાકરે દ્વારા તમામ માગણીઓ સ્વીકારવામાં આવ્યા પછી આખું આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. કોઠેએ કહ્યું કે, મુખ્ય પ્રધાન ઠાકરેએ જે કહ્યું તેનાંથી શિરડીનાં લોકોને સંતોષ થયો છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દે હવે નવો કોઈ વિવાદ જાગશે નહીં.