મુંબઈ: બોલિવૂડ અને સાઉથની અનેક જાણીતી હિરોઇનો તથા અન્ય સેલિબ્રિટીઝ માટે ડ્રેસીસ ડિઝાઈન કરનારી જાણીતી ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલાએ આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ હૈદરાબાદમાં તેના બુટિકના બાથરૂમમાંથી જ મળી આવ્યો હતો.
પોલીસને તેની સ્યુસાઈડ નોટ પણ મળી છે. તેમાં જણાવાયું છે કે તે લાંબા સમયથી બહુ ટેન્શનમાં હતી અને પોતે સાવ એકલી પડી ગઈ છે એવું લાગતું હતું. પોતે હવે મા-બાપ પર બહુ વધારે સમય માટે બોજ બનવા માગતી નથી એટલે આ પગલું લઈ રહી છે. તેણે પોતાનાં આ પગલાં માટે કોઈને પણ દોષ નહીં આપવા જણાવ્યું છે.
પ્રત્યુષાએ કોઈ ઝેરી રસાયણ સુંઘીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેના બુટિકમાંથી કાર્બન મોનેક્સાઈડનાં કેનિસ્ટર પણ મળ્યાં હતાં. તે 10મી જૂને રાતે ઘરેથી એવું કહીને નીકળી હતી કે પોતે કોઈ મિત્રને ત્યાં જઈ રહી છે. જોકે, શનિવારે તેનો કોઈ સંપર્ક ન થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. આખરે બુટિકના ચોકીદાર સાથે વાત થયા બાદ તેનો દરવાજો તોડતાં બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રત્યુષા ખાસ કરીને ફ્લોર લેન્થ અનારકલી ડ્રેસની ડિઝાઈન માટે જાણીતી હતી. તેના ક્લાયન્ટ લિસ્ટમાં માધુરી દીક્ષિત, સાનિયા મિર્ઝા, કાજલ અગ્રવાલ, રવિના ટંડન, પરિણિતી ચોપરા સહિતની એકટ્રેસીસનો સમાવેશ થતો હતો.
સાઉથના સ્ટાર રામચરણની પત્ની ઉપાસનાએ પ્રત્યુષાના મોતના સમાચાર જાણીને આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. પ્રત્યુષાને પોતાની ગાઢ મિત્ર ગણાવતાં ઉપાસનાએ કહ્યું હતું કે તેની કેરિયર બેસ્ટ હતી, આટલો સરસ પરિવાર હતો, આટલા બધા મિત્રો હતાં તેમ છતાં તે આટલાં ડિપ્રેશનમાં હતી તે બહુ આંચકાજનક છે.