મુંબઇઃ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એકશનમાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછના આધારે મહાનગર મુંબઇ અને ગોવામાં અનેક સ્થળે દરોડા પાડીને નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા ૭ લોકોની ધરપકડ કરાઇ છે. તો બીજી તરફ, રિયાએ એનસીબીની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ કર્યા હતા.
રિયાએ તપાસમાં જણાવ્યું હતું કે બોલિવૂડના ૮૦ ટકા કલાકાર નશીલા પદાર્થોનું સેવન કરે છે. રિયાએ આવા ૧૫ બોલિવૂડ કલાકારો સહિત ૨૫ વ્યક્તિના નામ પણ આપ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે આ નામ બહાર આવી રહ્યા છે. રિયાએ આપેલા નામોમાં યુવા અભિનેતા અને અભિનેત્રીઓ પણ સામેલ છે. જેમાં સારા અલી ખાન, રકુલ પ્રીતસિંહ, ડિઝાઇનર સિમોન ખંભાતા, સુશાંતની ફ્રેન્ડ રોહિણી ઐયર, પ્રોડયુસર અને ડાયરેકટર મુકેશ છાબડા વગેરેના નામનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અન્યોના પણ નામ જણાવ્યા હતા, જેઓ ડ્રગ્સનું સેવન કરે છે અને કેટલાક સપ્લાયર પણ છે. રિયાએ બોલિવૂડ સાથે સંકળાયેલા લગભગ ૨૫ જણાના નામ એનસીબીને આપ્યા છે. આ ઉપરાંત બોલિવૂડમાં ચાલતી ડ્રગ્સ પાર્ટીઓ વિશે પણ ઘણું બધુ જણાવ્યું હતું.
સુશાંતસિંહની અંતિમ ફિલ્મ દિલ બેચારાના નિર્દેશક મુકેશ છાબડાનું નામ ડ્રગ્સ કિસ્સામાં સામે આવી રહ્યું છે. જોકે છાબડાએ કહ્યું હતું કે હું જાણું છું કે રિયા શા માટે આ કેસમાં મારું નામ ઘસડી રહી છે.
દરમિયાન, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો હવે આ બધાને પૂછપરછ માટે બોલાવી શકે છે. કેઆરકેના નામથી જાણીતા ફિલ્મ ક્રિટિક કમાલ રાશિદ ખાને તેના ટ્વિટમાં પણ આ દાવો કર્યો છે. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ બાદથી સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેણે એનસીબી સમક્ષ અનેક બોલિવૂડ સેલેબ્સના નામ લીધા છે. એક રિપોર્ટ પ્રમાણે, રિયા ચક્રવર્તીએ એનસીબીને આપેલા ૨૦ પાના લાંબા નિવેદનમાં સ્વીકાર્યુ છે
સારા, રકુલ, સિમોન અંગે ચર્ચા
કેટલાક રિપોર્ટમાં સારાને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ ૨૦૧૮માં જ્યારે તે સુશાંતસિંહ સાથે થાઇલેન્ડ ટ્રિપ પર ગઇ હતી ત્યારે ડ્રગ્સ લીધું હતું. રકુલનું નામ રિયાએ એનસીબીની પૂછપરછ દરમિયાન લીધું હતું. સિમોનનું નામ રિયા સાથે થયેલી વોટ્સએપ ચેટથી સામે આવ્યું હતું.
રિયા ૨૨ સપ્ટેમ્બર સુધી જેલમાં
ડ્રગ્સની ખરીદ-વેચાણમાં નવમી સપ્ટેમ્બરના રોજ રિયાની ધરપકડ કરાઇ હતી. એનસીબી સમક્ષ એ વાતની કબૂલાત કરી હતી કે, સુશાંત માટે સેમ્યુઅલ મિરાન્ડા તથા શૌવિક ચક્રવર્તી મારફત ડ્રગ્સ મગાવતી હતી. તેને ૨૨ સપ્ટેમ્બર સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. રિયાની જામીન અરજી શુક્રવારના રોજ ફગાવી દેવામાં આવી છે. આવતા સપ્તાહે તેના વકિલ સતિશ માનશિંદે દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી શકે છે.
શેતરંજી પર ત્રણ રાત પસાર કરી
ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીનો જેલ કોટડીમાં રાત પંખા વગર પસાર થઇ રહી છે. કહેવામાં આવે છે કે, ઝડપથી તેને ટેબલ ફેન મળી જશે. કોર્ટે તેની છૂટ આપી દીધી છે. તેના સેલમાં પથારી પણ નથી, જેથી તેને જમીન પર શેતરંજી પાથરીને સુવું પડે છે. અભિનેત્રીને હાલમાં એક ધાબળો અને એક ચાદર આપવામા આવ્યા છે, પરંતુ તકિયો મળ્યો નથી.