સી-વોટરનો સર્વેઃ રાષ્ટ્રીય સુરક્ષાના મામલે ૭૪ ટકાને મોદીમાં ભરોસો

Monday 06th July 2020 16:23 EDT
 
 

નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં સરહદે ચીન સાથે સર્જાયેલા તણાવ વચ્ચે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર છે. ચીન વિવાદ મુદ્દે સી-વોટર સ્નેપ પોલમાં લોકોને પૂછાયું હતું કે હાલના તણાવને લઈને સરકાર પર વધુ વિશ્વાસ છે કે કોંગ્રેસ પર? સરવેમાં સામેલ ૭૪ ટકા લોકોએ કહ્યું કે અમને મોદી સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે, જ્યારે ફક્ત ૧૭ ટકા લોકોએ વિપક્ષમાં વિશ્વાસ હોવાની વાત કરી હતી. તો ૯.૬ ટકા લોકોએ કહ્યું કે ચીન સાથેનો વિવાદ ઉકેલવાની ક્ષમતા ના તો વિપક્ષમાં છે અને ના તો અત્યારની સરકારમાં છે.
ચીન ભારત માટે મોટી ચિંતા
આ સર્વેના તારણ મુજબ, મોટી સંખ્યામાં ભારતીયો માને છે કે પાકિસ્તાનની તુલનામાં ચીન દેશ માટે મોટી મુશ્કેલી છે. ૬૮ ટકા ભારતીયોનું કહેવું છે કે પાકિસ્તાનની તુલનામાં ભારત માટે ચીન ચિંતાનો વિષય છે, જ્યારે ૩૨ ટકા લોકોનું માનવું છે કે ચીન નહીં, પરંતુ પાકિસ્તાન જ ભારત માટે વધુ ચિંતાજનક છે.
સર્વેમાં લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે ભારત સરકારે ચીનના દબાણમાં જવાબ આપવા યોગ્ય પગલાં લીધાં છે? આ મુદ્દે ૩૯ ટકાથી વધુ ભારતીયોએ ‘હા’માં જવાબ આપ્યો અને કહ્યું કે ગલવાન ઘાટીમાં ૨૦ ભારતીય સૈનિક શહીદ થયા પછી મોદી સરકારે ચીનને જડબાતોડ જવાબ આપ્યો. જોકે, ૬૦ ટકાનું માનવું છે કે, ચીનને હજુ ભારતે જડબાતોડ જવાબ નથી આપ્યો અથવા ભારતના સૈનિકોની હત્યાનો બદલો લેવાનો હજુ બાકી છે.
આ સર્વેમાં નોંધવામાં આવ્યું હતું કે ૭૩.૬ ટકા લોકોએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને લઈને તેમને મોદી પર વિશ્વાસ છે, જ્યારે ૧૪.૪ ટકા લોકો કહે છે કે તેમને રાહુલ ગાંધીમાં કંઈક વિશ્વાસ છે.
ચીનના માલનો બહિષ્કાર
આ સર્વેક્ષણમાં આવરી લેવામાં આવેલા ૬૮ ટકા લોકોનું માનવું છે કે ભારતના લોકો ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરશે, જ્યારે ૩૧ ટકા લોકો કહે છે કે ચીનની ચીજવસ્તુઓ ખરીદવાનું ચાલુ જ રાખીશું, ભલે કંઈ પણ થઈ જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter