વારાણસીઃ વડા પ્રધાન મોદી રવિવારે પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે ગયા હતા. તેમણે ત્યાં રૂ. ૧,૨૫૪ કરોડની ૫૦ જેટલી યોજનાઓનું ત્યાં લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આખા વિશ્વનાં દબાણ છતાં અમારી સરકાર સીએએ તેમજ કલમ ૩૭૦ જેવા નિર્ણયોના અમલમાં વળગી રહેશે. તેમણે અયોધ્યા મુદ્દે કહ્યું કે, રામ મંદિરનાં નિર્માણ માટે રચાયેલું ટ્રસ્ટ ખૂબ જ ઝડપથી તમામ નિર્ણયો લેશે અને કાર્યો કરશે.
વારાણસીના કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી તેઓ ચંદોલી ગયા હતા અને દીનદયાળ ઉપાધ્યાયની ૬૩ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મોદીએ જંગમવાડી મઠમાં વીરશૈવ કુંભમાં ભાગ લીધો હતો અને પૂજાઅર્ચના કરી હતી. કાશી વિશ્વનાથ મંદિરમાં ૨૪ કલાક અન્નક્ષેત્રને ખુલ્લું મૂક્યું હતું. તેમણે કાશી મહાકાલ એક્સ્પ્રેસને લીલીઝંડી બતાવી હતી.