રાયપુરઃ છત્તીસગઢની રાજધાની રાયપુરથી ૩૫૦ કિ.મી. દૂર સુકમા જિલ્લાના ગોલ્લાપલ્લી અને કોંટા ગામ વચ્ચે આવેલા જંગલમાં સીઆરપીએફ અને નક્સલવાદીઓ વચ્ચે સોમવારે સર્જાયેલી ભીષણ અથડામણમાં ૧૫ નક્સલવાદી માર્યા ગયા હતા. ગોલ્લાપલ્લી અને કોંટા વચ્ચેનાં જંગલમાં ૨૦૦ જેટલા માઓવાદી મિટિંગ માટે એકઠા થવાના હોવાની માહિતી મળ્યા પછી જિલ્લા અનામત દળ, સ્પેશિયલ ટાસ્કફોર્સ અને સીઆરપીએફની સંયુક્ત ટુકડીએ રવિવારે રાત્રે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોને જોતાં જ જંગલમાં એકઠા થયેલા ૨૦૦ કરતાં વધુ નક્સલોએ ફાયરિંગ શરૂ કરતાં ભીષણ અથડામણ શરૂ થઈ હતી.