નવી દિલ્હી: જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ 50મા ચીફ જસ્ટિસ ઓફ ઇંડિયા બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના નામ પર મહોર લગાડી છે. જસ્ટિસ ચંદ્રચૂડ એવા પહેલા ચીફ જસ્ટિસ હશે, જેમના પિતા પણ દેશના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. જસ્ટિસ ચંદ્રચૂડ ઐતિહાસિક ચુકાદા આપવા માટે જાણીતા છે. જેમાં ગર્ભપાતનો હક, અયોધ્યા, સબરીમાલામાં મહિલાઓનો પ્રવેશ, સમલૈંગિકતા અપરાધ નથી જેવા અનેક ચુકાદાઓ સામેલ છે. બે વાર તેમણે ચુકાદાઓ બદલ્યા પણ છે, જે તેમના પિતા વાય.વી. ચંદ્રચૂડ ચીફ જસ્ટિસ હતા તે દરમિયાન આપ્યા હતા.
જસ્ટિસ ચંદ્રચૂડ 10 નવેમ્બર, 2024 સુધી એટલે કે બે વર્ષ ચીફ જસ્ટિસપદે રહેશે. તેઓ તાજેતરના દિવસોમાં સૌથી વધુ સમય સુધી આ પદ પર રહેનારા ચીફ જસ્ટિસ હશે. તેમના પિતા સૌથી લાંબા સમય સુધી (22 ફેબ્રુઆરી 1978 થી 11 જુલાઇ 1985) ચીફ જસ્ટિસ રહ્યા છે.
11 નવેમ્બર 1959ના રોજ જન્મેલા જસ્ટિસ ચંદ્રચૂડે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી LLM અને જ્યુડિશિયલ સાયન્સમાં ડોક્ટરેટ કર્યું છે. 2016માં સુપ્રીમ કોર્ટ પહોંચતા પહેલાં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા હતા.