સુપ્રીમ કોર્ટે કમલનાથ અને સ્પીકરને નોટિસ પાઠવી

Tuesday 17th March 2020 06:55 EDT
 
 

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં વિશ્વાસના મત મામલે હજુ પણ ચિત્ર સ્પષ્ટ નથી થયું. મધ્ય પ્રદેશની રાજનીતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે. સુપ્રીમ કોર્ટે કમલનાથ અને સ્પીકરને નોટિસ ફટકારી છે. રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને પત્ર લખીને તાકીદે વિશ્વાસના મત માટે જણાવ્યું હતું એ પછી સોમવારે કમલનાથે આ અંગે રાજ્યપાલ સાથે બેઠક કરી હતી. વધુમાં કમલનાથે કહ્યું કે, અમારી પાસે ધારાસભ્યોની બહુમતી છે એટલે અમારે કોઇ ફ્લોર ટેસ્ટની જરૂર નથી. છતાં જેને શંકા હોય તે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશ વિભાનસભામાં ફ્લોર ટેસ્ટ અંગે મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરીને ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે તેવું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ ફ્લોર ટેસ્ટ અંગે નિર્ણય જાહેર કરશે. મહત્વનું છે કે ભાજપના પ્રતિનિધિ તરીકે પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ફ્લોર ટેસ્ટ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.
રાજ્યપાલે ૬ પ્રધાનને હટાવ્યા
કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમના ૨૨ સમર્થક ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપી દેતાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જોકે, મુખ્ય પ્રધાન કમલનાથે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે તૈયારી દર્શાવતાં ભાજપ પર કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોને બંધક બનાવવાનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોમાં મધ્ય પ્રદેશ સરકારના છ પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. રાજ્યપાલ લાલજી ટંડને આ પ્રધાનોને પદ પરથી હટાવી દીધા હતા.
 ૧૨મી માર્ચે સ્પીકર એન. પી. પ્રજાપતિએ રાજીનામુ આપનારા કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોને નોટિસ પાઠવી હતી. સ્પીકરે પૂછ્યું હતું કે તમે બધાએ રાજીનામું સ્વેચ્છાએ આપ્યું છે કે કોઈના દબાણમાં આવી ને કે પછી કોઈ બીજા કારણથી એ રૂબરૂ આવીને જણાવો.
રાજીનામા નામંજૂર કરવાની રણનીતિ
કોંગ્રેસે રાજીનામા આપનારા સભ્યો પોતાની સાથે છે કે નહીં એ સ્પષ્ટ ન થાય એ પ્રકારની રણનીતિ અપનાવી છે. કોંગ્રેસ વતી રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતુ કે ધારાસભ્યોએ સ્પીકર સમક્ષ આવીને રાજીનામા આપવા જોઈએ. કેમ કે કાયદાકીય રીતે ધારાસભ્યો સ્પીકરને જવાબદાર છે, માટે રાજીનામા તેમની સમક્ષ રૂબરૂ આપવા જોઈએ.
સિંધિયા પરિવારને લલકાર કોંગ્રેસની ભૂલ
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના ૨૭ કલાક બાદ મધ્ય પ્રદેશના કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા ૧૨મી માર્ચે બપોરે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપના દિલ્હીમાં આવેલા મુખ્યાલયમાં ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં તેમને ભાજપની પ્રાથમિક સદસ્યતા આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી બદલાઈ ચૂકી છે અને એના દ્વારા હવે જનસેવા કરવી સંભવ નથી. સિંધિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે એમના હાથમાં દેશનું ભવિષ્ય પૂરી રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું હતું કે મારા જીવનમાં બે તારીખો મહત્ત્વપૂર્ણ છે. પહેલી તારીખ છે ૩૦, સપ્ટેમ્બર, ૨૦૦૧ જે દિવસે મેં મારા પિતાજીને ગુમાવ્યા હતા. ત્યાર બાદ બીજો દિવસ છે ૧૦, માર્ચ ૨૦૨૦ જે દિવસે મારા પિતાની ૭૫મી વર્ષગાંઠ હતી. એ દિવસે મેં જીવનમાં એક નવી પરિકલ્પના સાથે જીવનને એક નવો મોડ આપવાનો નિર્ણય લીધો હતો. ભાજપમાં ભળેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, સિંધિયા પરિવારને લલકારીને કોંગ્રેસે બહુ મોટી ભૂલ કરી છે.
ભાજપમાં સામેલ થયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલી વાર ભોપાલ પહોંચ્યાં અને તેમણે કાર્યકરોને સંબોધિત કર્યાં હતાં. સિંધિયાએ કહ્યું કે, મારે માટે આજનો દિવસ ભાવુક છે. જે સંગઠન અને જે પરિવારમાં મેં ૨૦ વર્ષ વીતાવ્યાં, મારી મહેનત લગન, મારા સંકલ્પ જેને માટે મેં ખર્ચ કર્યો, તે બધાને છોડીને હું મારી જાતને તમારે હવાલે કરું છું. તેમણે કહ્યું કે સિંધિયા પરિવાર સત્યના માર્ગે ચાલનાર છે. મૂલ્યો પર ચાલે છે. જ્યારે જ્યારે પણ સિંધિયા પરિવારને પડકારવામાં આવે છે ત્યારે તે જગતની સામે પણ લડવા અચકતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter