નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હિંદુત્વ અને હિંદુ શબ્દ ફક્ત હિંદુ ધાર્મિક પ્રક્રિયાઓ નહીં પરંતુ ભારતીયની જીવનશૈલી છે તે અંગે ૨૦ વર્ષ પહેલાં પોતે જ આપેલા ચુકાદાની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. ૧૯૯૫માં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, હિંદુત્વ અને હિંદુ ધર્મ શબ્દો ભારતીયોની જીવનશૈલી છે. આ શબ્દો હિંદુ ધર્મને આસ્થા તરીકે પાળતા વ્યક્તિઓની ઓળખ સાથે સંકળાયેલાં નથી. હવે સાત ન્યાયાધીશોની બંધારણીય પેનલ આ ચુકાદાની સમીક્ષા કરશે. ભાજપે પોતાના પર લાગતા કોમવાદી હોવાના આરોપો ફગાવી દેવા અને સુપ્રીમ કોર્ટે પણ હિંદુત્વ અને હિંદુનો સાચો અર્થ સમજાવ્યો હોવાનું કહી સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૯૯૫માં અપાયેલા ચુકાદાનો પોતાના ચૂંટણી ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો હતો. બે દાયકા પહેલાં સુપ્રીમ કોર્ટે રાજકારણીઓને હિંદુત્વ અને હિંદુ ધર્મ જેવા શબ્દોનો ઉપયોગ કરી મત માગવા રાજકારણીઓને પરવાનગી આપી હતી.
૧૯૯૫નો ચુકાદો
ડિસેમ્બર ૧૯૯૫માં સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જે એસ વર્માના નેતૃત્વ હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, હિંદુત્વ અથવા હિંદુ ધર્મના નામે મત માગવા જનપ્રતિનિધિ ધારાની કલમ ૧૨૩ અંતર્ગત ભ્રષ્ટ પ્રક્રિયા નથી જેથી ચૂંટણીમાં વિજેતા ઉમેદવારનું સભ્યપદ રદ કરી શકાય.