ભોપાલઃ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ મંગળવારે ભોપાલમાં કહ્યું કે ૨૦૧૯માં થનારી લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પછી ઉમા ભારતી બીજાં એવા દિગ્ગજ નેતા છે જેમણે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ માત્ર ભગવાન રામ અને ગંગા માટે કામ કરશે. વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ ૧૫ જાન્યુઆરીથી ગંગા પદયાત્રા શરૂ કરશે. ઉમા ભારતીએ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ઝાંસીમાં પણ કહ્યું હતું કે, હું લોકસભાની ચૂંટણી નહી લડું. ઝાંસી જ નહીં પણ ક્યાંયથી પણ ચૂંટણી નહી લડું. હું ફક્ત પાર્ટી માટે પ્રચાર કરીશ. તેમણે કહ્યું કે હું છેલ્લા શ્વાસ સુધી રાજકારણમાં રહીશ. જોકે હવે તેમણે સ્પષ્ટ નિર્ણય જણાવી દીધો છે. ઉમા ભારતીએ કહ્યું કે, શિવરાજસિંહ ફરીવાર મુખ્ય પ્રધાન બનશે. મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બનશે.