નવી દિલ્હી: ભાજપના નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ (ઉ. ૬૭)ને હાર્ટ એટેક આવતા દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. સુરક્ષા પ્રધાન રાજનાથ સિંહ, સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન, નીતિન ગડકરી સુષ્મા સ્વરાજની નાદુરસ્ત તબિયત બાદ એઈમ્સમાં હાજર થઈ ગયા હતા. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું હતું કે, હું ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધનથી સ્તબ્ધ છું. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા મામલે સાંજે સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, પ્રધાનમંત્રીજી, તમારા હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસની રાહ જોઇ રહી હતી.
સંકલ્પથી સિદ્ધિ તરફ કાર્યક્રમની ઉજવણી મોકૂફ
સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાનને કારણે રાજ્ય સરકારના ૩ વર્ષ સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર કાર્યક્રમની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા મામલે સાતમીએ સાંજે સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, પ્રધાનમંત્રીજી, તમારા હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસની રાહ જોઇ રહી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના સ્વર્ગવાસ બાદ શ્રદ્ધાંજલિ આપતાં ટ્વિટ્સ કરી હતી. મોદીએ એક પછી એક પાંચ ટ્વિટ કરી હતી. તેમણે ભારતીય રાજનીતિમાં સુષ્મા સ્વરાજનાં યોગદાનને યાદ કર્યું હતું તેમણે લખ્યું કે, ભારતીય રાજનીતિનાં એક શાનદાર અધ્યાયનો અંત આવ્યો છે. ભારત આવા નેતાનાં નિધન પર શોક વ્યક્ત કરે છે, જેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોનાં જીવનને સમર્પિત કર્યું હતું. સુષ્મા સ્વરાજ મોદી સરકારનાં પહેલા કાર્યકાળમાં વિદેશ પ્રથમ હતા. તેઓ અટલ બિહારી વાજપેયી સરકારામાં પણ પ્રધાન હતાં. ૧૬મી લોકસભામાં તેઓ મધ્ય પ્રદેશનાં વિદિશાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે તેમણે ખરાબ સ્વાસ્થ્યનાં કારણે લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. વિદેશ પ્રધાન રહેતા તેઓ સોશિયલ મીડિયા પર ફરિયાદોને સાંભળવવા અને તેનું નિવારણ લાવવા માટે જાણીતા હતા.