રાયબરેલીઃ ઉત્તર પ્રદેશનાં રાયબરેલીથી સતત ૨૦૦૪થી ચૂંટણી જીતતા આવતા યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી તેમનાં સંસદીય મતવિસ્તાર રાયબરેલીની મુલાકાતે ગયા હતા. તેમણે યુપીમાં કોંગ્રેસનાં હારનાં કારણોની સમીક્ષા કરી હતી અને મતદારોનો ફરી જીતાડવા માટે આભાર માન્યો હતો. સોનિયાએ મોદી પર આક્ષેપો કર્યાં હતા કે ચૂંટણી જીતવા તમામ પ્રકારનાં કીમિયાઓ અજમાવવામાં આવ્યા હતા અને તમામ મર્યાદાઓ ઓળંગવામાં આવી હતી. સત્તામાં ટકી રહેવા અને મોદીને વડા પ્રધાન બનાવવા ભાજપે તમામ સીમારેખાઓ ઓળંગી હતી. લોકસભાની ચૂંટણીમાં શું નૈતિક અને શું અનૈતિક થયું તે સૌ કોઈ જાણે છે. કોંગ્રેસનાં નેતાઓને મળીને સોનિયાએ કોંગ્રેસની હારનાં કારણોની સમીક્ષા કરી હતી. કોંગ્રેસનાં નેતાઓ પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશનાં ભાવિ મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઇચ્છે છે.
કોંગ્રેસના નેતાઓ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડરાને ક્ષેત્રના ભાવિ મુખ્ય પ્રધાન ઉમેદવાર તરીકે જોવા ઇચ્છે છે. કોંગ્રેસનાં રાજ્યસભાના સાંસદ સંજયસિંહ, બ્રિજલ ખબરી અને રાકેશ સાચન તેમજ અન્ય નેતાઓએ પ્રિયંકા ગાંધીને ભાવિ મુખ્ય પ્રધાન ઉમેદવાર તરીકે જાહેર કરવાની નેતાઓએ માગણી કરી હતી. પ્રિયંકા ગાંધી ૩૮ સીટનાં ઉમેદવારો તેમજ ૪૦ જિલ્લાનાં પ્રમુખો અને કાર્યકરોને મળ્યા હતા.
કોંગ્રેસની હાર માટે નેતાઓ - કાર્યકરો જવાબદાર: પ્રિયંકા
કોગ્રેસની હાર માટે પ્રિયંકા ગાંધીએ સિનિયર નેતાઓની નિષ્ક્રિયતા અને કાર્યકરોની ઉદાસીનતાને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે હું અહીં કોઈ ભાષણ આપવા નથી આવી મને સત્ય બોલવાની ફરજ પાડવામાં આવી રહી છે. જે કાર્યકરોએ ચૂંટણીમાં પાર્ટી માટે કામ કર્યું નથી તેની હું તપાસ કરીશ અને પગલાં લઈશ. કોંગ્રેસની હાર માટે પાર્ટીના જ કેટલાક નેતાઓ જવાબદાર છે કહીને પ્રિયંકાએ નેતાઓની ઝાટકણી કાઢી.