પહલગામઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પહલગામ હુમલાને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. અબ્દુલ્લાએ કહ્યું કે, પહલગામ હુમલો લોકલ સપોર્ટ વિના થઈ શકે નહીં કારણ કે આતંકવાદી ત્યાં સુધી કેવી રીતે આવ્યા, એ પ્રશ્ન આજે પણ યથાવત્ છે. કોઈ સ્થાનિકે આતંકવાદીઓને મદદ તો ચોક્કસ કરી છે.
અબ્દુલ્લાના આ નિવેદન પર પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ આકરો વાંધો વ્યક્ત કરીને કહ્યું કે, ફારુક અબ્દુલ્લાનું આવું નિવેદન દેશના બાકીના ભાગોમાં રહેલા કાશ્મીરી લોકો માટે ખતરારૂપ બની શકે છે. તેનાથી કેટલીક મીડિયા ચેનલોને કાશ્મીરીઓ અને મુસ્લિમોને બદનામ કરવાનો મોકો મળી શકે છે.
અબ્દુલ્લાએ કહ્યું કે, લોકલ સપોર્ટ વિના પહલગામ હુમલો થઈ શકે નહીં, પરંતુ મહેબૂબા મુફ્તીએ તેનો ઈનકાર કર્યો છે. મહેબૂબાની દરેક વાતનો જવાબ હું નહીં આપું. કારણ કે મહેબૂબાને પણ ખબર હોવી જોઈએ કે કાશ્મીરમાં બહારના રાજ્યમાંથી આવેલા લોકોને ટાર્ગેટ બનાવાય છે. આપણા પંડિત ભાઈઓને અહીંયાથી ભાગવું પડ્યું. આવું કરનાર કોણ હતું?
અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, મહેબૂબા આતંકવાદીઓના ઘરે જતી હતી. તેમણે આનો જવાબ આપવો જોઈએ. ઘટના પછી સૌથી મોટો સંદેશ એ છે કે પ્રવાસીઓ ડરનાર નથી. જે લોકો ભય ફેલાવવા ઈચ્છતા હતા, એ હારી ગયા છે. આતંકવાદીઓ હારી ગયા છે. આજે સાબિત થઈ ગયું છે કે અમે ડરવાના નથી. કાશ્મીર હંમેશા ભારતનો હિસ્સો હતું અને હંમેશા રહેશે.