સ્વજનોથી વિખુટા પડીને લાખો લોકોએ વિભાજન બાદ નવું જીવન ઊભું કર્યું: મોદી

Thursday 20th August 2026 05:37 EDT
 
 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ પર 1947ના ભાગલાથી પ્રભાવિત લોકોના સાહસ, સંઘર્ષ અને જીજીવિષાને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ભાગલાએ લાખો પરિવારોને બરબાદ કરી દીધા અને લોકોને અસહ્ય પીડા આપી, પરંતુ પ્રભાવિત લોકોએ વિપરીત સંજોગોમાં પણ નવું જીવન શરૂ કર્યું અને દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વડાપ્રધાને ભાઈચારો, સદભાવના અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને મજબૂત કરવાનું આહ્વાન કર્યુ હતું.
મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્ય હતુંું, આજે આપણે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ મનાવી રહ્યા છીએ. અમે એ તમામ લોકોના સાહસને યાદ કરીએ છીએ, જેઓ ભાગલાથી પ્રભાવિત થયા હતા. આ ઈતિહાસનો એવો દોર હતો, જેણે અનેક જિંદગીઓ તહેસ-નહેસ કરી દીધી. પરિવારો વિખેરાઈ ગયા, પોતાનાઓને ગુમાવ્યા અને લોકોએ ઘણું દુ:ખ સહન કર્યું. સાથે જ, આ મુશ્કેલીમાંથી બહાર આવીને લોકોએ શૂન્યમાંથી પોતાનું જીવન ફરી શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે તમામ મુશ્કેલીઓ છતાં લોકોએ શૂન્યમાંથી પોતાનું જીવન ફરીથી બનાવ્યું. તેમણે વિષમ પરિસ્થિતિઓને પોતાની તાકાત બનાવી. મુશ્કેલ સંજોગોને સફળતામાં બદલ્યા અને દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે તેમની જીવન યાત્રાઓ આપણને માનવીય જુસ્સાની તાકાતની યાદ અપાવે છે. આ દિવસ આપણા દેશમાં ભાઈચારો અને સદભાવના જાળવી રાખવાના આપણા સંકલ્પને વધુ મજબૂત કરે અને આપણે
સૌ મળીને વિકસિત ભારત બનાવવાની દિશામાં કામ કરીએ.

આઝાદીની સાથે મળ્યું હતું ભાગલાનું દર્દ

ભારતને 15 ઓગસ્ટ, 1947 ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી. દર વર્ષે 15 ઓગસ્ટે મનાવવામાં આવતો સ્વતંત્રતા દિવસ કોઈપણ દેશ માટે ખુશી અને ગર્વનો અવસર હોય છે. જોકે, આઝાદીની આ ખુશી સાથે ભાગલાનું ઊંડું દર્દ પણ જોડાયેલું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter