નવી દિલ્હીઃ રાજધાનીમાં સ્વતંત્રતા દિવસ - ૧૫મી ઓગસ્ટની ઉજવણી શાંતિથી પસાર પાર પડે એ માટે દિલ્હી પોલીસે સુરક્ષાની મોટા પાયે વ્યવસ્થા કરી છે. રાજધાનીમાં સુરક્ષાનું અભેદ કવચ બિછાવી દેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ, નેશનલ કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા છે. એર સર્વેલન્સ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લાલ કિલ્લાની ફરતે દિલ્હી પોલીસના હજારો જવાનો ઉપરાંત અર્ધ લશ્કરી દળો તહેનાત કરવામાં આવ્યા છે.
લાલ કિલ્લાની આસપાસ સેંકડો સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં બિલ્ડિંગોની છત પર રાઇફલો ધરાવતા જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. સિવેજ લાઈનો અને કારમાં બેસીને આતંકીઓ હુમલો કરે એવું ઇન્ટેલિજન્સ એજન્સીઓને એલર્ટ આપ્યું હોવાથી લાલ કિલ્લાની આસપાસની બિલ્ડિંગો, માર્કેટો, સિવેજ લાઈનો અને મેનહોલને સીલ કરી દેવામાં આવશે.
તમામ એન્ટ્રી પોઇન્ટ પર ચેક અપ પોઇન્ટ અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરો લગાવી દેવામાં આવ્યાં છે. ફેસિયલ રેકગ્નિશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી શકમંદની ઓળખ થઈ શકે.