નવી દિલ્હીઃ ભારત સરકારે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવવા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સાંસ્કૃતિક મંત્રાલયે રાષ્ટ્રગાનના માધ્યમથી આમ આદમીને આ ઉજવણીમાં સામેલ કરવા ‘આપણો ઉત્સવ, આપણે દ્વાર’ સૂત્ર સાથે અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત દેશવિદેશમાં વસતાં ભારતીયોને આઝાદીના અમૃત મહોત્સવના રાષ્ટ્રીય પર્વ નીમિત્તે રાષ્ટ્રગાન કરતો એક વીડિયો અપલોડ કરવા આમંત્રણ અપાયું છે. કોઇ પણ વ્યક્તિ ૧૩ ઓગસ્ટ ૨૦૨૧ની મધરાત સુધીમાં તેમનો વીડિયો www.rashtragaan.in વેબસાઇટ પર અપલોડ કરી શકશે. રાષ્ટ્રગાન અપલોડ થયા બાદ આ વ્યક્તિને ભારત સરકાર તરફથી એક સુંદર સર્ટિફિકેટ ઇસ્યુ કરાશે.