શાહજહાંપુરઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર રેપ કેસમાં ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદની ૨૦મીએ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં હતાં. કોર્ટે તેમને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. શાહજહાંપુરની જિલ્લા કોર્ટમાં તેમનો મેડિકલ ટેસ્ટ કરાયો હતો. સ્વામીએ આરોપોને તેમની સામેનું કાવતરું ગણાવ્યા હતા. સ્વામી જે કોલેજમાં ડિરેકટર છે તેવી લો કોલેજની એક વિદ્યાર્થિનીએ સ્વામી પર એક વર્ષ સુધી રેપ કર્યાનો આરોપ લગાવ્યો હતો. તેણે પુરાવા તરીકે તપાસ સમિતિને મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ તેમજ અન્ય પુરાવા રજૂ કર્યાં હતા. પેન ડ્રાઇવમાં આશરે ૪૩ જેટલા વીડિયો તેણે રજૂ કર્યાં હતા. જે પૈકી કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જોકે સ્વામીની પૂછપરછ પછી સીટે મીડિયાને જણાવ્યું કે, સ્વામીએ તેમની ભૂલ સ્વીકારી છે. સ્વામીએ કહ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. મારે યુવતીને મસાજ માટે બોલાવવી જોઈતી ન હતી. મને મારી હરકતનો ક્ષોભ છે. જોકે દુષ્કર્મનાં આરોપોને સ્વામીએ ફગાવ્યા હતા.