મિલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સામાન્ય રીતે રાજકીય વિવાદોથી દૂર રહે છે. જોકે, 16 ડિસેમ્બરે કોલકતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન અવસર પર નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી જેવા રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દા પર તેમણે કરેલી ટિપ્પણીએ સહુનું ધ્યાન ખેંચ્યું છે. અભિવ્યક્તિની આઝાદીને લઈને અમિતાભ બચ્ચને કહ્યું કે, ‘(આઝાદીના આટલા વર્ષો બાદ) હજુ પણ નાગરિકોની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.’
બ્રિટિશ સેન્સરશીપ, ઉત્પીડન કરનારાઓની વિરુદ્ધ આઝાદીથી પહેલાની ફિલ્મો, સાંપ્રદાયિકતા અને સામાજિક એકતા પર વિસ્તારથી વાત કર્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું કે, ‘મને ભરોસો છે કે મંચ પર મારા સહયોગી એ વાતથી સહમત થશે કે હજુ પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.’
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આયોજિત આ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિતાભ બચ્ચનને ભારતરત્નથી સન્માનિત કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય સિનેમામાં આટલા વર્ષોના યોગદાન બદલ અમિતાભ બચ્ચનને ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત કરવા જોઇએ તેવી માગણી કરીએ છીએ.