લખનઉઃ હિંદુઓના આરાધ્ય દેવ હનુમાનજીને પહેલાં જાતિ સાથે અને હવે ધર્મ સાથે જોડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત તરીકે ઓળખાવ્યાના દિવસો બાદ હવે ભાજપી નેતા બુક્કલ નવાબે બકવાટ કર્યો છે કે હનુમાનજી મુસલમાન છે અને હનુમાનજીને નામે અમારા ધર્મનાં લોકોનાં નામો રખાય છે. લખનઉમાં આયોજિત અલ્પસંખ્યક મોરચાના એક કાર્યક્રમમાં નવાબે કહ્યું કે જ્યારે હનુમાનજીને જાતિ-ધર્મમાં વિભાજિત કરવાની વાત આવે છે ત્યારે તેઓ દરેક ધર્મના હતા.
અમારું માનવું છું કે હનુમાનજી મુસલમાન હતા, તેથી અમારી અંદર જે સલમાન, રહેમાન, રમજાન, ફરમાન, ઝિશાન, કુરાન જેવાં નામો રખાય છે તે લગભગ હનુમાનને નામે રખાય છે. મુસ્લિમોના લગભગ ૧૦૦ નામો હનુમાનજી પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય નવાબને વિવાદ સાથે જૂનો નાતો છે. આ પહેલાં તેમણે અયોધ્યામાં બાબરી મસ્જિદ નિર્માણની વાત કરીને બખેડો ખડો કર્યો હતો.