નવી દિલ્હીઃ ૨૫૨૫ કિ.મી. લાંબી ગંગાની સફાઇ માટે ઢગલાબંધ પગલાંની ભલામણ કરતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે હરિદ્વારથી ઉન્નાઉ વચ્ચેના વિસ્તારમાં વહેતી ગંગા નદીમાં કચરો ઠાલવનારને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકારવા નિર્દેશ આપ્યો છે. ગંગા અને યમુનાને જિવિત વ્યક્તિ નહીં ગણવાના સુપ્રીમ કોર્ટના આદેશ પછી એનજીટી દ્વારા આ પગલાંની જાહેરાત કરાઇ છે.
એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ સ્વતંત્રકુમારે સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે, હરિદ્વારથી ઉન્નાઉ વચ્ચે વહેતી ગંગા નદીના કિનારાથી ૫૦૦ મીટરના વિસ્તારમાં કચરો ઠાલવી શકાશે નહીં. તે ઉપરાંત આ પટ્ટામાં વહેતી ગંગા નદીના કિનારાથી ૧૦૦ મીટરના વિસ્તારને એનજીટીએ નો ડેવલપમેન્ટ ઝોન જાહેર કર્યો છે.
ગંગાની રૂ. ૭,૦૦૦ કરોડનું આંધણ છતાં નદી દૂષિત
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ પીટિશન કરનાર પર્યાવરણ એક્ટિવિસ્ટ એમ સી મહેતાની રજૂઆતોના આધારે એનજીટીએ અહેવાલ જાહેર કર્યો છે કે, ગંગાની સફાઇ માટે અત્યાર સુધીમાં રૂ. ૭૦૦૦ કરોડ ખર્ચાઇ ચૂક્યાં છે. એનજીટીએ કેન્દ્ર સરકારને હવે આ પ્રોજેક્ટ પાછળ એક પણ રૂ. નહીં ખર્ચવાનો આદેશ આપ્યો છે. મહેતાએ તેમની અરજીમાં સરકાર દ્વારા ખર્ચાયેલા રૂ. ૭,૦૦૦ કરોડની સીબીઆઇ તપાસ કરાવવાની પણ માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગંગાની સફાઇ માટેના આ નાણા વેડફાઇ ગયાં છે. ભારત સરકારે તેની તપાસ કરાવવી જોઇએ.