નવી દિલ્હીઃ નાણા મંત્રાલયમાં હલવા સેરેમનીનું આયોજન સંપન્ન થતાં હવે બજેટ દસ્તાવેજોનું છાપકામ શરૂ થશે. નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા સેરેમનીનું આયોજન થયું ત્યારે નાણા પ્રધાન નિર્મલા સીતારામન, નાણારાજ્યપ્રધાન અનુરાગ ઠાકુર, નાણાસચિવ રાજીવકુમાર સહિત વિવિધ વિભાગના સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે જ નાણા વિભાગના ૧૦૦ અધિકારીઓ નોર્થ બ્લોકમાં બંધ થઈ જશે અને તેમનો સંપર્ક બહારની દુનિયાથી કપાઈ જશે. છપાયેલા દસ્તાવેજો સાથે નાણા પ્રધાન ૧ ફેબ્રુઆરીના રોજ સંસદ પહોંચશે અને બજેટ રજૂ કરશે. બજેટ પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ સંસદમાં બજેટ રજૂ થયા સુધી મંત્રાલયમાં જ રહેશે. તે દરમિયાન તેઓ કુટુંબના સભ્યોનો સંપર્ક પણ નહીં સાધી શકે.