નવી દિલ્હી: ભારતે રવિવારે 1999ના કારગિલ જંગમાં સશસ્ત્ર દળોએ દાખવેલા શૌર્યને ફરી એક વાર યાદ કર્યું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રાસવાદને સરકારી નીતિ બનાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરીને ઉમેર્યું કે એ દેશ સાથે પીઓકે સિવાય બીજા કોઈ મુદ્દે ચર્ચાને સ્થાન નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના નેતાઓએ પણ યુદ્ધમાં જાનફેસાની કરનારા સૈનિકોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
રાજનાથ સિંહે રવિવારે દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ ઉજવણી પ્રસંગે પાકિસ્તાનને કડક સંદેશો આપતાં જણાવ્યું છે કે હવે પીઓકેને બાદ કરતાં કોઇ વિષયે વાત નહીં થાય. પાકિસ્તાને ભારતની જમીન પર ગેરકાયદે કબજો કરેલો છે, અને તેણે આ જમીન છોડવી પડશે. ઓપરેશન સિંદૂરે બતાવી આપ્યું છે કે આતંકવાદમાં સામેલ લોકોનો અંજામ કેવો થાય છે. પાકિસ્તાન ખોટી હરકત કરશે તો તેને અકલ્પનીય જવાબ અપાશે. પાકિસ્તાન પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે ભારત ડેટા સેન્ટર બનતું જાય છે તો પાકિસ્તાન કટ્ટરપંથીઓનું સેન્ટર બનતું જાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બહાદુર લડવૈયાઓને અંજલિ આપતા જણાવ્યું કે રાષ્ટ્ર આ સૈનિકોનું સદાય ઋણી રહેશે. એમના અપ્રતિમ શૂરાતન, અડગ મનોબળ અને અનુપમ દેશભક્તિ આપણા સૈન્યની ઉજ્જવળ પરંપરાના અનુસરણીય મોડેલરૂપે જળવાઈ રહેશે. વડાપ્રધાન મોદીએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં કહ્યું કે અત્યંત ભયાનક પરિસ્થિતિમાં ભારતના વીર સૈનિકોનું શૌર્ય હમેશા રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત બની રહેશે. એમની કર્તવ્યપરાયણતા પેઢીઓ સુધી પ્રેરણારૂપ બનશે.


