ચંડીગઢઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા રદ કર્યાં તે નિર્ણયને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે આવકાર્યો છે. તેમણે કહ્યું કે પ્રકાશ પર્વ નિમિત્તે વડા પ્રધાન દ્વારા કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત અને ખેડૂતોની માફી મંગાઈ તેનાથી કશું મોટું હોઈ શકે નહીં. તેમણે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન અમિત શાહનો ખાસ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી માત્ર ખેડૂતોને જ રાહત મળી છે તેવું નથી, પરંતુ પંજાબની પ્રગતિનો માર્ગ ખૂલી ગયો છે. તેઓ ખેડૂતોના વિકાસ માટે ભાજપ સાથે મળીને કામ કરવા તૈયાર છે. આજે પંજાબમાં સૌ માટે મોટો દિવસ હોવાનું પણ તેમણે કહ્યું હતું. કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે અમે ખેડૂતોને કૃષિ કાયદાના લાભ સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ, જેમનું અમને દુઃખ છે. વડા પ્રધાન સંસદમાં પસાર કરાયેલા કૃષિ કાયદા અમલમાં મૂકવા માંગતા હતા, જે ખેડૂતોના લાભ અને કલ્યાણ માટે હતા. વડા પ્રધાનનો ઇરાદો ખેડૂતોના જીવનમાં ક્રાંતિ લાવવાનો હતો.