નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બંધારણીય બેંચે એક તબક્કે સ્પષ્ટ કર્યું હતું કે અયોધ્યામાં રામ પ્રત્યે હિંદુઓની જે આસ્થા છે તેના પર સવાલ ઉઠાવવા મુશ્કેલ છે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને જણાવ્યું હતું કે એમાં કોઇ શંકા નથી કે ભગવાન રામનું સન્માન થવું જ જોઇએ. જોકે ભારત જેવા દેશમાં અલ્લાહનું પણ સન્માન થાય જ છે. અમે સાથે એ માની લઇએ છીએ કે રામનો જન્મ ત્યાં થયો હતો. આ સમયે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
બંધારણીય બેંચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન મુસ્લિમોએ પણ કહ્યું હતું કે મક્કા જે રીતે મુસ્લિમોનું ધાર્મિક સ્થળ મનાય છે તેવી જ રીતે અયોધ્યા હિંદુઓનું ધાર્મિક સ્થાન મનાય છે. આવી સ્થિતિમાં અયોધ્યામાં રામ પ્રત્યે હિંદુઓની જે આસ્થા છે તેના પર સવાલ ઉઠાવવા મુશ્કેલ છે.
સુન્ની વકફ બોર્ડ વતી દલીલો કરી રહેલા જાણીતા વકીલ ધવને જણાવ્યું હતું કે માત્ર આસ્થા કે વિશ્વાસના આધારે કોઇ સ્થળ પર દાવો ન કરી શકાય. જોકે સાથે તેમણે કહ્યું હતું કે હું બહુ જ આદરપૂર્વક માનું છું કે ભગવાન રામ પ્રત્યે લોકોની જે આસ્થા છે તેને નકારી ન શકાય. રામનો જન્મ અયોધ્યામાં જ થયો હતો, પણ જ્યાં મસ્જિદ આવેલી છે ત્યાં નહીં.
જોકે બેંચે કહ્યું હતું કે અગાઉ તમે જ કહ્યું હતું કે શ્રદ્ધાનો ઉપયોગ પુરાવા તરીકે પણ થઇ શકે છે અને હવે કહો છો કે શ્રદ્ધાથી કોઇ સ્થળ પરનો દાવો ન કરી શકાય.
રામનું જન્મસ્થળ ગુંબજની નીચે, આ ભરોસાપાત્ર છે?
આ પૂર્વે શુક્રવારે પાંચ જજની બંધારણ બેન્ચ સમક્ષ મુસ્લિમ પક્ષે કહ્યું કે બાબરી મસ્જિદ તોડી પાવાનો હેતુ હકીકત મિટાવવાનો હતો. ત્યારબાદ કોર્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે આ જમીન હિન્દુઓની છે. આનાથી સાબિત થાય છે કે મસ્જિદ કોઈ કારણ વિના નહીં પણ નવું મંદિર બાંધવાના ઇરાદે ધ્વસ્ત કરાઈ છે. હિન્દુ પક્ષ દલીલ કરે છે કે ભગવાન રામ કોઈના સપનામાં આવ્યા અને જણાવ્યું કે જન્મસ્થળ મસ્જિદના કેન્દ્રીય ગુંબજની નીચે છે. શું આના પર વિશ્વાસ કરી શકીએ?
સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને કહ્યું કે બાબરનામા મુજબ મસ્જિદ બાબરના આદેશ પર તેના સેનાપતિ મીર બાકીએ બંધાવી હતી. ત્રણ શિલાલેખમાં પણ તેનો ઉલ્લેખ છે. આ શિલાલેખો સામે હિન્દુઓએ વાંધો જરૂર ઉઠાવ્યો છે પણ એવો વાંધો વાજબી નથી કે વિદેશી પ્રવાસીઓના વર્ણનમાં પણ મંદિરનો ઉલ્લેખ છે.