નવી દિલ્હીઃ હનુમાનજીનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? આ સવાલનો સ્પષ્ટ જવાબ કોઈ પાસે નથી. પરિણામે કર્ણાટક અને આંધ્ર પ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ અંગે વિવાદ સર્જાયો છે. એ વિવાદને ઉકેલવા માટે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ૨૧મી એપ્રિલે અહેવાલ રજૂ કરશે. હનુમાનજીનો જન્મ ભારતના કયા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે ધર્મગ્રંથોમાં પણ અલગ અલગ વર્ણનો મળે છે. તેના કારણે હવે કર્ણાટક અને આંધ્ર પ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ વિશે વિવાદ શરૂ થયો છે. કર્ણાટકના શિવમોગ્ગામાં રામચંદ્રપુર મઠના વડા રાધેશ્વર ભારતીએ રામાયણનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે હનુમાનજીએ ખુદ સીતાજીને પોતાની જન્મભૂમિ વિશે જણાવ્યું હતું એ પ્રમાણે તેમનો જન્મ ગોકર્ણના સમુદ્ર કિનારે થયો હતો. આ સ્થળ અત્યારે કર્ણાટકમાં આવેલું છે. અગાઉ કર્ણાટકે દાવો કર્યો હતો કે અત્યારે કોપ્પલ જિલ્લામાં આવેલા કિષિકન્ધામાં અંજનાદ્રી પહાડીઓમાં હનુમાનજીનો જન્મ થયો હતો.
બીજી તરફ આંધ્ર પ્રદેશનો દાવો છે કે હનુમાનજીનો જન્મ તિરૂપતિની સાત પહાડીઓમાંથી એક એવી અંજનાદ્રીમાં થયો હતો. આ મુદ્દે સતત દાવા થઈ રહ્યાં હોવાથી તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાને (ટીટીડી) વૈદિક સમિતિને હનુમાનજીના જન્મસ્થળ અંગે રિપોર્ટ આપવા જણાવ્યું હતું. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન અંતર્ગત એક વૈદિક સમિતિ છે, જે વૈદિક બાબતોની ખરાઈ કરે છે. એ સમિતિમાં પુરાતત્વવિદ અને ઈસરોના એક વિજ્ઞાનીનો સમાવેશ કરાયો છે. અલગ અલગ પૌરાણિક ગ્રંથોમાં હનુમાનજીના જન્મસ્થળ અંગે જુદાં-જુદાં વર્ણનો મળતાં હોવાથી ઘણા રાજ્યોના લોકો હનુમાનજીનો જન્મ પોતાના રાજ્યમાં થયો હોવાનું માને છે.
હનુમાનજીનો જન્મ ગુજરાતમાં થયો હતો?
હનુમાનજીનો જન્મ ગુજરાતમાં થયો હોવાની પણ એક માન્યતા છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં માન્યતા છે કે હનુમાનજીનો જન્મ એક ગુફામાં થયો હતો, જે અત્યારે અંજની ગુફાના નામે ઓળખાય છે. રામાયણકાળમાં ડાંગ પ્રદેશ દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખાતો હતો. માન્યતા એવી છે કે આ વિસ્તારમાં શ્રીરામ-લક્ષ્મણે શબરીના બોર ખાધા હતા. જે સ્થળ શબરીધામ તરીકે ઓળખાય છે.