હૈદરાબાદ: બંગાળના અખાતમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હૈદરાબાદમાં ૫૦થી વધુ લોકોનાં મોત થયાનાં અહેવાલ હતાં. ભારે વરસાદને કારણે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં પૂરની સ્થિતિ વચ્ચે કેટલાય લોકો બેઘર બન્યા હતા. ૧૭મીની રાતથી શરૂ થયેલા વરસાદે શહેરને ૬થી ૭ કલાક સુધી ઘમરોળ્યું હતું. શહેરમાં કેટલાક સ્થળે ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ૧૭મીએ રાત્રે અચાનક ખાબકેલા ભારે વરસાદના કારણે હૈદરાબાદની સડકો પર ઘોડાપૂર આવ્યું હોય તેવાં ભયાનક દૃશ્યો સર્જાયાં હતાં. બાલાનગર તળાવ છલકાઇ જતાં પાણી જૂના હૈદરાબાદ શહેરમાં ઘૂસી ગયાં હતાં.