નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૨ વર્ષમાં પહેલીવાર નૈઋત્યનું ચોમાસુ આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. અરબી સમદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે વરસાદી વાદળોની ગતિ પર અસર પડી છે. સામાન્ય રીતે ૧૯ જૂન સુધીમાં દેશના બે તૃતીયાંશ હિસ્સામાં ચોમાસનો પ્રારંભ થઈ જતો હોય છે, પરંતુ હજુ દેશના ૧૦-૧૫ ટકા વિસ્તારમાં જ ચોમાસાનો પ્રારંભ થયો છે. અત્યારે નૈઋત્યનું ચોમાસું ફક્ત કેરળ, દક્ષિણ કર્ણાટક અને તામિલનાડુના થોડા વિસ્તારોમાં જ સક્રિય થયું છે. પૂર્વોત્તર ભારતમાં થોડા અંશે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થવા માટે ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગી શકે છે.