નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટે ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોના પાંચ કેસની ફાઇલ્સ ફરી ખોલવાના ૨૯મી માર્ચે આદેશ આપ્યા છે. આ કેસનાં તમામ આરોપીઓ ૩૧ વર્ષ પહેલાં ૧૯૮૬માં મુક્ત કરી દેવામાં આવ્યા હતા. દિલ્હી હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટનો જૂનો રેકોર્ડ તપાસ કર્યા પછી સુઓમોટો નોંધ લઇને આ કેસની ફેરતપાસનો આદેશ આપ્યો હતો.
હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટની સુનાવણીની પદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. રેકોર્ડ દર્શાવે છે કે ટ્રાયલ કોર્ટે તો સાક્ષીઓ અને તો ફરિયાદ કરનારા લોકોની વ્યવસ્થિત સુનાવણી કરી હતી. ઘણા ફરિયાદીઓને તો સમન્સ નહોતું મોકલ્યું અને સમન્સ પણ એવા ઘરના સરનામે મોકલાયાં હતાં કે જે ઘરો તોફાનોમાં સંપૂર્ણપણે સળગી ગયા હતા. હાઇ કોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે ઉતાવળમાં ચુકાદો આપ્યો હતો. નવાઈની વાત એ છે કે ટ્રાયલ કોર્ટનો રેકોર્ડ એક અન્ય કેસની સુનાવણી માટે ક્રાઈમ બ્રાન્ચે હાઈ કોર્ટને સોંપ્યો હતો. કેસમાં કોંગ્રેસ નેતા સજ્જનકુમારને આરોપમુક્ત કરવા બાબતે પણ પડકાર અપાયો છે.


