નવી દિલ્હીઃ ૧૯૮૪માં થયેલા શીખવિરોધી રમખાણોના કેસની તપાસ કરવા માટે ગૃહમંત્રાલયે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)એ બાવીસ કેસ ફરી ખોલ્યા છે અને તેને સંબંધિત ભોગ બનેલા અને સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. એસઆઈટીએ પંજાબમાં જાહેરાત પણ આપી છે. એમાં લોકોને આ કેસ અંગે કંઈ પણ માહિતી હોય તો આપવા અને કેસમાં ફરી તપાસમાં મદદ કરવા અપીલ કરાઈ છે. પંજાબમાં ચૂંટણી અગાઉ જ લેવાયેલા આ નિર્ણયથી દિલ્હીના રાજકીય વર્તુળમાં પણ હલચલ મચી જશે. એસઆઈટી તેનો વચગાળાનો અહેવાલ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આપવાનું આયોજન કરી રહી છે. તે સમયે વધુ કેટલાક કેસ પણ ખુલશે.