નવી દિલ્હીઃ આર્થિક સર્વેક્ષણમાં સરકારે અનુમાન વ્યક્ત કર્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વિકાસદર ૭ ટકાથી ઉપર રહેશે. ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં વૃદ્ધિદરમાં આવેલા ઘટાડા બાદ અર્થતંત્ર માટે આ શુભ સંકેત છે. ગયા નાણાકીય વર્ષમાં વૃદ્ધિદર ૬.૮ ટકા થઈ ગયો હતો. જે છેલ્લા પાંચ વર્ષના નીચલા સ્તરે હતો. નાણા પ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેમાં જણાવ્યું હતું કે, ૨૦૨૪-૨૫ સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બને તેવું લક્ષ્ય નક્કી કરાયું છે. આ માટે રોકાણ, નિકાસ અને રોજગારી ઊભી કરવા પર બહુ ધ્યાન આપવું પડશે.