નવી દિલ્હીઃ ચોમાસું સત્રના ૧૩મા દિવસે ઓબીસી બિલ રાજ્યસભામાં પાસ થયું છે. લોકસભામાં આ બિલ પહેલાં જ પસાર થઈ ચૂક્યું છે. તે ૧૨૩મું બંધારણ સુધારા બિલ છે. હવે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો મળી જશે. ૧૯૯૩માં રચાયેલું પછાત વર્ગ આયોગ અત્યાર સુધી માત્ર સામાજિક અને શૈક્ષણિક આધાર પર જાતિઓને પછાત વર્ગોની યાદીમાં સામેલ કરવા અથવા પહેલાથી સામેલ જાતિઓને યાદીમાંથી બહાર કરવાનું કામ કરતું હતું.
• રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં ટૂંકા ગાળા માટે અધ્યક્ષ, ઉપાધ્ય અને ત્રણ સભ્યો હશે.
• રાષ્ટ્રપતિ આ આયોગની કામગીરી નક્કી કરશે, અને આયોગની પાસે પોતાની કેટલીક બંધારણીય સત્તાઓ પણ હશે.
• ઓબીસીમાં સામેલ જાતીઓ સાથે થતા અન્યાયો, કેસો વગેરેની તપાસ અને દેખરેખનો અધિકાર પણ આ આયોગને હશે.
• ઓબીસીના આર્થિક અને સામાજિક વિકાસ પર આયોગ ધ્યાન આપશે. સાથે સરકારને આ અંગે સલાહ પણ આપશે.
• આયોગને બંધારણીય દરજ્જો મળી જતા અગાઉ કરતા વધુ સત્તાઓ મળી રહેશે, અન્ય બંધારણીય દરજ્જા વાળા આયોગની જેમ કામ કરી શકશે.
• કેન્દ્રની ઓબીસીની જે યાદી છે તેને સંબંધી નિર્ણય જ આયોગ લેશે, રાજ્યોની યાદીમાં દખલગીરી નહીં કરે.