નવી દિલ્હીઃ મોદી સરકાર ઔરંગઝેબના ભાઇ અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતા એવા દારા શિકોહની કબર શોધવા માટે ખાસ મહેનત કરી રહી છે. હુમાયુના મકબરાની પાસે મોગલ શાસકોની પહેલું કબ્રસ્તાન છે, જ્યાં ૧૪૦ કબરો છે, પરંતુ આ કબરોમાં દારા શિકોહની કબર શોધવી સરળ નથી. દારા શિકોહે ગીતાનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. તેણે બાવન ઉપનિષદોનો પણ અનુવાદ કર્યો હતો. હવે સરકાર દારા શિકોહની કબર અને તેનો ઇતિહાસ શોધી તેને હિન્દુસ્તાનના સાચા મુસલમાન સાબિત કરવા ઇચ્છે છે, જે ભારતીય સંસ્કૃતિ ઘણો જ પ્રભાવિત હતો. દારા શિકોહની કબર શોધનારી ટીમમાં ડો. આર. એસ. ભટ્ટ, કે. કે. મોહંમદ, ડો. બી. આર. મની, ડો. કે. એન. દત્ત, ડો. બી. એમ. પાંડેય, ડો. જમાલ હસન અને અશ્વિની અગ્રવાલ સામેલ છે.
કેન્દ્ર સરકારે એ માટે સાત સભ્યોની કમિટીની રચના કરી છે. કમિટીએ ત્રણ મહિનામાં દારા શિકોહની કબર શોધવાની છે. શાહજહાંનામામાં લખ્યું છે કે ઔરંગઝેબ સામે હાર્યા બાદ શિકોહનું માથું વાઢીને આગ્રાના કિલ્લામાં મોકલી અપાયું હતું અને બાકીના ધડને હુમાયુના મકબરાની પાસે ક્યાંક દફનાવી દેવાયું હતું. અહીં મોટા ભાગની કબરો પર કોઇનું નામ લખ્યું નથી, તેથી દારા શિકોહની કબર શોધવી સરળ નથી.
દારા શિકોહનું મૃત્યુ ૩૦ ઓગસ્ટ ૧૬૫૯ના દિવસે થયું હતું. પદ્મશ્રી પુરાતત્ત્વવિદ કે. કે. મોહંમદ કહે છે કે દારા શિકોહની કબર શોધવી મુશ્કેલ ખરી, પરંતુ ૧૬૫૨ની આસપાસની સ્થાપત્ય શૈલીના આધારે એક નાની કબરને ચિન્હિત કરાઇ છે. જો કે એ કબર પર કશું લખાયું નથી, તેથી મુશ્કેલ કામ છે.