નવી દિલ્હીઃ બિલ્ડરોની ચુંગાલમાં ફસાયેલા ૪.૫૮ લાખ ઘરોના ખરીદકારોને સરકારે મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ પૂરા કરવા માટે રૂ. ૨૫,૦૦૦ કરોડનું ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ ફંડથી અટકેલા ૧૬૦૦ પ્રોજેક્ટ પૂરા કરાશે. ફંડ બિલ્ડરને અપાશે નહીં. તેનાથી પ્રોજેક્ટ પૂરા કરવાનું કામ એસબીઆઈ કેપિટલ્સની પ્રોફેશનલ ટીમ કરશે. સરકાર આ ફંડને ૨૫,૦૦૦ કરોડ રૂપિયાથી શરૂ કરવા જઈ રહી છે. રૂ. ૧૦,૦૦૦ કરોડ સરકાર આપશે. જ્યારે એલઆઈસી અને એસબીઆઈ બાકી ફંડ આપશે. આ ફંડમાં સોવરેન ફંડ અને પેન્શન ફંડ પણ નાણાં રોકી શકે છે જે રૂ. ૨૫,૦૦૦ કરોડ સિવાયના હશે. ૭મી નવેમ્બરે કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી હતી.