નવી દિલ્હી: કોરોના સંકટના કારણે ૭૩ દિવસથી બંધ આંતરરાષ્ટ્રીય આવન-જાવન માટે કેન્દ્ર સરકારે ૩જી જૂને આંશિક છૂટ આપી છે. હવે કેટલીક શરતો સાથે વિદેશી વ્યવસાયી, આરોગ્ય કર્મી અને એન્જિનિયર ભારત આવી શકશે. તેના માટે તેમણે નવેસરથી વિઝા લેવાનો રહેશે. ગૃહ મંત્રાલયના નિર્ણય અનુસાર બિનવ્યવસાયિક કે ચાર્ટર્ડ વિમાનોમાં બિઝનેસ વિઝા પર આવવા માગતા વિદેશી વ્યવસાયીઓને ભારત આવવાની છૂટ રહેશે. જેના અનુસાર, લેબોરેટરી અને ફેક્ટરીઝ સહિત આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓમાં ટેક્નિકલ કામ માટે ઈચ્છુક વિદેશી આરોગ્ય વ્યવસાયી, આરોગ્ય સંશોધન કર્તા, એન્જિનિયર અને ટેક્નિશિયન આવી શકશે. માન્યતાપ્રાપ્ત અને નોંધાયેલા આરોગ્ય સુવિધા કેન્દ્ર, દવા કંપની કે યુનિવર્સિટીના નિમંત્રણપત્ર પર જ તેમને ભારત આવવા દેવાશે.