જોધપુરઃ ચલ્લા સોમસુંદરમ રાજસ્થાનના જોધપુરમાં રહે છે. ઉંમર ૮૩ વર્ષ છે અને અમેરિકાની એક સંસ્કૃત યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. નવા વર્ષની શરૂઆતમાં હૈદરાબાદમાં કોન્વોકેશન થયું ત્યારથી તેઓ ચર્ચામાં રહ્યા છે. પીએચડી માટે તેઓ રોજ ૧૪થી ૧૫ કલાક અભ્યાસ કરતા હતા. સોમસુંદરમે કહ્યું કે, ૧૯૯૧માં તેઓ રેલવે વિભાગમાંથી નિવૃત્ત થયા હતા. તે પછી માસ્ટર ડિગ્રી મેળવવાનો નિર્ણય લીધો. પરિવારને આ વાતની જાણ કરી તો પરિવાર ચોંકી ઊઠ્યો. ૭૯ વર્ષની વયે જ્યારે જાહેર કર્યું કે, તેઓ આગળ ભણીને ડોક્ટરેટ પણ મેળવવા માગે છે ત્યારે પણ બધા પાછા ચોંકી ગયા હતા.
સોમ કહે છે કે, મારા પુત્ર પ્રો. સીવીઆર મૂર્તિ આઈઆઈટી જોધપુરમાં ડાયરેક્ટર છે. તેણે ખૂબ સંશોધન કર્યાં છે. મારા પુત્રનું રિસર્ચવર્ક જોઈને મને મને પ્રેરણા મળતી હતી. મને ટાઇપિંગ નહોતું આવડતું એટલે હું લખીને થિસિસ તૈયાર કરતો હતો. શરૂઆતમાં થિસિસ ટાઇપ કરવા માટે એક વ્યક્તિ રાખી હતી, પરંતુ તે કામ ન કરી શક્યો. એ પછી મારા પુત્રએ જવાબદારી ઉપાડી. હું દિવસે થિસિસ લખતો અને તે કોલેજેથી આવીને ટાઇપ કરતો હતો. શનિવારે તો તે આખી રાત જાગીને ટાઇપ કરતો હતો. થિસિસ એડિટ પણ તેણે જ કરી આપી છે.
કમ્પ્યુટર પણ શીખ્યા
શોધ માટે વારંવાર ઇન્ટરનેટની જરૂર પડતી હોવાથી તેઓ કમ્પ્યુટર શીખ્યા. વિષયના તજજ્ઞોને મળવા માટે પહેલા ઇન્ટરનેટથી સંપર્કની વિગતો શોધે અને પછી જે તે વ્યક્તિને મળવા જાય. તેમણે એક વર્ષ સુધીની મહેનતથી જ્યોતિષ બી. વી. રમણનું એડ્રેસ શોધ્યું અને રમણને મળવા ગયા ત્યારે ખબર પડી કે તેમનું તો નિધન થઈ ગયું છે. એ પછી રમણે કરેલા રિસર્ચ માટે તેઓ દિલ્હીમાં રહેતી તેમની દીકરીને મળવા માટે ગયા હતા. આ ઉપરાંત પણ સોમને જે જે કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી લાગે તે માટે તે શીખતા જતા હતા.