નવી દિલ્હીઃ ‘આધાર’ કાર્ડને પડકારતી પિટિશનમાં તેની બંધારણીય યોગ્યતાને પડકારતાં અરજકર્તાએ સરકાર દ્વારા એકત્ર કરાયેલી તમામ અંગત માહિતી પર સવાલ ઉઠાવાયો હતો. અરજકર્તાએ દલીલ કરી હતી કે, સરકારનાં આ પગલાંથી સામાન્ય નાગરિકની અંગતતાના અધિકારમાં સીધો હસ્તક્ષેપ છે. બંધારણના આર્ટિકલ ૧૪ (સમાનતાનો અધિકાર) અને આર્ટિકલ ૨૧ (જીવન અને સ્વતંત્રતાનો અધિકાર)માં સીધી દખલ છે. તે સમયે સુપ્રીમ કોર્ટે આ મામલાને ૯ જજની બંધારણીય બેન્ચને આ અરજી સોંપીને જણાવ્યું હતું કે, પહેલાં એ નક્કી થશે કે પ્રાઇવસી મૂળભૂત અધિકાર છે કે કેમ? ત્યારબાદ આધારના મામલે અલગ સુનાવણી કરાશે.
હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે ત્યારે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચ આ મામલા પર સુનાવણી કરશે. અદાલત હવે નક્કી કરશે કે પ્રાઇવસીનો અધિકાર મૂળભૂત અધિકાર જાહેર થયા પછી આધાર સ્કીમ અંતર્ગત સરકાર દ્વારા એકત્ર કરાયેલી માહિતી પ્રાઇવસીના અધિકારનું ઉલ્લંઘન કરે છે કે કેમ?
ત્યારે કોર્ટે કહ્યું હતુંઃ ‘આધાર’ ફરજિયાત નહીં
૧૧ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કોઈ પણ સરકારી કલ્યાણ યોજના માટે ‘આધાર’ કાર્ડ ફરજિયાત નહીં રહે. સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા, કેરોસીન અને રાંધણગેસ બોટલના વિતરણમાં ‘આધાર’નો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમાં પણ ‘આધાર’ ફરજિયાત નહીં હોય.