નવી દિલ્હીઃ દેશમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે સત્તારૂઢ અને વિપક્ષ વચ્ચેની લડાઇ ચરમસીમાએ છે ત્યારે નરેન્દ્ર મોદી સરકારને સાણસામાં લે તેવી એક નવી ટેપનો ખુલાસો થયો છે. આ ઓડિયો ટેપમાં ગોવાના મુખ્ય પ્રધાન અને અગાઉ સંરક્ષણ પ્રધાન રહી ચૂકેલા મનોહર પારિકરને ટાંકતા તેમની જ કેબિનેટના એક પ્રધાન બોલી રહ્યા છે કે રફાલ ડીલ મામલે તેમનું (પારિકર)નું કોઇ કશું જ બગાડી નહીં શકે કેમ કે આ કેસની તમામ ફાઇલો તેમની પાસે તેમના બેડરૂમમાં છે. આ ઓડિયો ટેપ જાહેર થતાં જ રાજકીય હંગામો મચી ગયો હતો અને મામલો બીજી જાન્યુઆરીએ સંસદમાં પહોંચ્યો હતો.
કોંગ્રેસ નેતા સુરજેવાલાએ ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેની વાતચીતનો એક ઓડિયો જારી કરી દાવો કર્યો હતો કે થોડાક દિવસ અગાઉ ગોવા કેબિનેટની બેઠકમાં મનોહર પારિકરે રફાલ ફાઇલો મામલે એક નિવેદન આપ્યું હતું. પારિકરે કહ્યું હતું કે તેમનું કોઇ કંઇ જ બગાડી ન શકે, તમામ ફાઇલો તેમની પાસે છે.